‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ. ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ ઉજવીએ.
તાજેતરમાં ગુજરાતી ભાષાએ અને અમરેલી પંથકે ગુમાવેલા સાહિત્યકાર હર્ષદ ચંદારાણાની કેટલીક સદાબહાર રચનાઓ સાથે તેમને ભાવાંજલિ અપીવી છે. ચલાલામાં જન્મેલા આ કવિએ સાયન્સ શાખામાં ગ્રેજ્યુએશન કર્યું હતું. આશા ટ્રેડિંગ કંપનીના બિઝનેસમેન એવા હર્ષદભાઈએ તો કવિતાઑમાં આશાનો સૂરજ જોયો અને એ પ્રતાપે આપણને મળ્યા ફીણ-મોજા, નદીને મળ્યા પછી, કલરવનું ઘર, હાથની હોડી, પંખો, પવન ને પતંગિયું, મહેકનો અભિષેક, સમુદ્ર છલકે છે, કિરણોની પોટલી, દિવસોએ પાંખો પહેરી છે, મારાં મોરપિચ્છ, મહેકનો અભિષેક જેવા માતબર સંગ્રહો. વળી, લીલીછમ વેલી અમરેલી, ગિરા નદીને તીર, અમરેલ્લીલ્લીલ્લી જેવાં કેટલાક સંપાદનો પણ એમણે આપ્યા છે.
18 June, 2024 09:00 IST | Mumbai | Dharmik Parmar