ગુજરાતની ગરવી અને સંસ્કારી નગરી એટલે વડોદરા
ગુજરાતની ગરવી અને સંસ્કારી નગરી એટલે વડોદરા
વિશ્વામિત્રી નદીના કાંઠે વસેલું શહેર એટલે વડોદરા. મૂળ નામ વટપદ્ર. એવું પણ માનવામાં આવે છે કે વડોદરાનું નામ સંસ્કૃત શબ્દ વટસ્ય ઉદરે પરથી પડ્યું છે. સમય જતા તે અપભ્રંશ થઈને વડોદરા બન્યું. જેને બરોડા પણ કહેવામાં આવે છે. વડોદરા ગાયકવાડ વંશના મરાઠા રાજ્યનું પાટનગર હતું. એટલે આજે પણ વડોદરામાં મરાઠીઓ મોટી સંખ્યામાં જોવા મળે છે.
પ્રાચીનતા અને આધુનિકતાનો સમન્વય છે વડોદરા. ગાયકવાડ સમયનાં મહેલો, મંદિરો અને સ્મારકો છે અહીં તો સાથે અદ્યતન શોપિંગ કોમ્પલેક્સ અને મલ્ટીપ્લેક્સ તેનો પુરાવો છે. આજનું વડોદરા ગાયકવાડ શાસકોની દીર્ઘદ્રષ્ટિનો પુરાવો છે. વર્ષ 1875માં મહારાજા સયાજીરાવ ત્રીજાના શાસન દરમિયાન વડોદરાએ ખૂબ પ્રગતિ કરી. એ સમયે મહારાજા સયાજીરાવ ત્રીજાના શાસન દરમિયાન ફરજીયાત પ્રાથમિક શિક્ષણ કરાવ્યું. સાથે લાયબ્રેરી સિસ્ટમ શરૂ કરાવ્યું. યુનિવર્સિટીની સ્થાપના કરી. સાથે કલા અને સ્થાપત્યનો પણ એટલો જ વિકાસ થયો.
(તસવીર સૌજન્યઃ ધવલ ડામર)
ADVERTISEMENT
વડોદરા સંસ્કારી નગરીની સાથે કલાનું કાશી પણ કહેવામાં આવે છે. કલા અને સંસ્કૃતિ અહીં આજે પણ સચવાયા છે. વડોદરા ગુજરાતનું ગરબા કેપિટલ પણ છે. વડોદરામાં આજે પણ પરંપરાઓને જાળવીને ગરબા કરવામાં આવે છે. જેમાં એકસાથે લાખો લોકો ગરબે ઘૂમે છે. અને તે પણ પરંપરાગત દરબાઓના તાલ પર. આ દ્રશ્ય અનોખું હોય છે. વડોદરા શિક્ષણમાં પણ અગ્રેસર છે. વડોદરાની મહારાજ સયાજીરાવ યુનિવર્સિટી આજે પણ અગ્રગણ્ય યુનિવર્સિટીમાંથી એક છે.
આ પણ વાંચોઃ ગરબા કેપિટલ વડોદરાઃ જ્યાં હજુ પણ સચવાઈ છે પરંપરા
વડોદરાનું નામ પડે એટલે યાદ આવે ભાખરવડી, લીલો ચેવડો અને સેવ ઉસળ. વડોદરાની ભાખરવડી અને લીલો ચેવડો તો દેશ વિદેશ સુધી પહોંચ્યો છે. તો સવાર સવારમાં વડોદરાનું સેવ ઉસળ ખાવાની મજા જ કાંઈક અલગ છે. વડોદરાના લોકો શાંતિપ્રિય છે. વડોદરા રહેવા માટે ગુજરાતના ટોચના શહેરોમાંથી એક છે. તમે પણ ક્યારેક આ શહેરની મુલાકાત જરૂરથી લેજો.