સ્ટાર ગ્રુપની એક સિરિયલ બંધ અને એકનું ભાવિ જોખમમાં
આજે વેબ-સિરીઝની આંધી વચ્ચે નબળા વિષયવસ્તુ ધરાવતી કે દર્શકોને બાંધી ન શકતી સિરિયલો ટપોટપ બંધ થઈ જાય છે, રાધર, મેકર્સે બંધ કરવાનો નિર્ણય લેવો પડે છે. ‘રશ્મિ શર્મા ટેલિફિલ્મ્સ’ની રાતે ૧૦ વાગ્યે સ્ટાર ભારત પર આવતી ‘મુસ્કાન’ સિરિયલ બંધ થવાનાં એંધાણ છે.
શરદ મલ્હોત્રા અને યેશા રુઘાનીને ચમકાવતી આ સિરિયલ ગયા વર્ષની ૨૯ મેના એન્ડમાં શરૂ થઈ હતી. શરૂઆતમાં એનો ટીઆરપી સારો હતો, પણ સમય જતાં તે ઘટતો ગયો. છેલ્લે એમાં ટીવી અને સિરિયલના જાણીતા ચહેરા સુદેશ બેરીની એન્ટ્રી થઈ, પરંતુ તાજા અહેવાલ મુજબ આ શોનો ટીઆરપી સાવ તળિયે બેસી ગયો છે અને બની શકે કે એ બંધ થઈ જાય.
‘મુસ્કાન’માં મુસ્કાનનો ટાઇટલ રોલ ભજવતી યેશા રુઘાનીએ કહ્યું કે ટેલિવિઝન એ અનપ્રેડિક્ટેબલ બિઝનેસ છે માટે તમે કહી ન શકો કે એમાં શું થવાનું છે. અમે પૂરેપૂરી મહેનત કરીએ છીએ કે એક સારી પ્રોડક્ટ બને. અમે ઇચ્છીએ છીએ કે આ શો ચાલે.’
આજકાલ ટીવી-શો વર્ષની અંદર પણ બંધ થઈ રહ્યા છે. ‘મુસ્કાન’ને તો એક વર્ષથી વધુ થઈ ચૂક્યું છે અને એ ડેન્જર ઝોનમાં છે, જ્યારે બીજી બાજુ સ્ટાર પ્લસ પર આવતા ફૅન્ટસી શો ‘યે જાદુ હૈ જિન્ન કા’ને લઈને સમાચાર આવ્યા છે કે એ આવતા વર્ષે ફેબ્રુઆરીમાં બંધ થવાનું છે. વિક્રમ સિંહ ચૌહાણ અને અદિતિ શર્માને મુખ્ય પાત્રોમાં ચમકાવતી આ સિરિયલની તો શરૂઆત જ ગયા મહિને ઑક્ટોબરમાં થઈ છે, પણ દર્શકોને બાંધી ન શકતાં એ આવતા વર્ષે ફેબ્રુઆરીની ૨૮મીએ બંધ થશે એવા સમાચાર પ્રોડક્શન-હાઉસ તરફથી આવ્યા છે.