પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને સેન્ટરે પહોંચાડવાની બાંયધરી આપી સોનુ સૂદે
સોનુ સૂદ
સોનુ સૂદે JEE અને NEETની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને બાંયધરી આપી છે કે તેઓ રસ્તામાં ક્યાંય પણ અટવાઈ જશે તો તેમને સેન્ટર્સ સુધી પહોંચાડશે. દેશમાં હાલમાં અનેક રાજ્યોમાં પૂર જેવી સ્થિતિ છે. તો કોરોનાએ પણ કેર વર્તાવ્યો છે. એવામાં સોનુ સૂદે અગાઉ અપીલ કરી હતી કે વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખતાં આ પરીક્ષાઓને થોડા સમય માટે ટાળવી જોઈએ. જોકે એના વિશે હજી સુધી કોઈ ચોક્કસ નિર્ણય લેવાયો નથી. એથી સ્ટુડન્ટ્સ તેમની પરીક્ષામાં બેસી શકે એ માટે સોનુ સૂદે મદદ માટે હાથ લંબાવ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શૅર કરીને સોનુ સૂદે લખ્યું હતું કે ‘જે પણ વિદ્યાર્થીઓ JEE અને NEETની પરીક્ષામાં બેસવાના છે તેમની સાથે હું છું. જો તમે રસ્તામાં ક્યાંય પણ અટવાઈ જાઓ તો મને તમારા વિસ્તાર વિશે જણાવજો. હું તમને તમારા સેન્ટર્સ સુધી પહોંચાડવામાં મદદ કરીશ. સાધનના અભાવે કોઈ પોતાની પરીક્ષા મિસ ન કરે એ વાતનું ધ્યાન રાખવામાં આવશે.’