ભારતમાં BAFTA બૉલીવુડથી પરે જઈને કામ કરશે : એ. આર. રહમાન
એ. આર. રહમાન
એ. આર. રહમાનનું કહેવું છે કે BAFTA એટલે કે બ્રિટિશ ઍકૅડેમી ઑફ ફિલ્મ્સ ઍન્ડ ટેલિવિઝન આર્ટ્સ ભારતમાં જે પહેલ શરૂ કરશે એ બૉલીવુડથી પરે જઈને કામ કરશે. આ પહેલથી ભારતના કલાકારોની ટૅલન્ટને વિશ્વસ્તરે ઓળખ મળવાની છે. એ કામગીરી માટે એ. આર. રહમાનને ઍમ્બૅસૅડર નીમવામાં આવ્યો છે. BAFTAની પ્રશંસા કરતાં એ. આર. રહમાને કહ્યું હતું કે ‘BAFTAએ ભારતમાં કામ કરવા માટે જે યોજના ઘડી છે એ બૉલીવુડથી પરે છે. BAFTA અને હું નવી ટૅલન્ટને શોધી કાઢવા અને તેમને એક મંચ આપવા માટે કામ કરીશું. તેમની સાથેનું મારું આ અસોસિએશન અમારા વિઝનને કારણે કુદરતી રીતે બંધ બેસે છે. ઇન્ડિયન સિનેમાનો વિવિધતાસભર વારસો એની સુંદરતાને દેખાડે છે. આ પહેલથી ઇન્ડિયન ફિલ્મ્સ ગેમ્સ અને ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીના ખૂણે-ખૂણેથી ટૅલન્ટને ખોજી લાવશે, જેને વિશ્વ સમક્ષ દેખાડવામાં આવશે. BAFTA ઇન્ડિયન ટૅલન્ટને વૈશ્વિક મંચ પર લાવવા માટે સક્ષમ બનાવશે. સાથે જ એ ઊભરતી પ્રતિભાઓને નેટવર્કિંગની તક આપશે, જેથી એ આ ઇન્ડસ્ટ્રીમાં સર્વશ્રેષ્ઠ કામ કરી શકે. હું દેશભરમાંથી હીરાને શોધી લાવવા માટે તત્પર છું.’