શ્રીદેવી સાથેના પ્રેમાળ સંબંધોને ખૂબ યાદ કરી રહ્યો છે શાહરુખ ખાન
કિંગ ખાન
શાહરુખ ખાને હાલમાં જ શ્રીદેવી સાથેના સંબંધોને ખૂબ યાદ કર્યા હતા અને કહ્યું હતું કે શ્રીદેવી તેને ખૂબ પ્રેમ પણ કરતી હતી. શાહરુખની ‘ઝીરો’માં શ્રીદેવી થોડા સમય માટે સ્ક્રીન પર દેખાવાની છે. આ સીનનું શૂટિંગ કર્યા બાદ શ્રીદેવીનું આકસ્મિક અવસાન થયું હતું. શાહરુખ હાલમાં ‘ઝીરો’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ ૨૧ ડિસેમ્બરે રિલીઝ થવાની છે. શ્રીદેવી સાથે વિતાવેલી પળોને યાદ કરતાં શાહરુખે કહ્યું હતું કે ‘સૌની જેમ જ મારા માટે પણ શ્રીદેવીનું અવસાન ખૂબ જ ચોંકાવનારું હતું. અમે હંમેશાં તેમના વિશે વાતો કરીએ છીએ. થોડા દિવસો અગાઉ હું જ્યારે કરણ જોહરને મળ્યો હતો ત્યારે શ્રીદેવીજીને યાદ કરી હતી. અમને વિશ્વાસ નથી થતો કે તે આપણી વચ્ચે નથી. હું બોનીજી અને તેમના પરિવાર માટે પ્રાર્થના કરું છું કે દુ:ખની આ ઘડીમાંથી તેઓ બહાર આવે. શ્રીદેવી જ્યાં પણ હોય, ખુશ રહે. તે લોકોને હંમેશાં ખુશ રાખતી હતી. ફિલ્મમાં તેની હાજરી અમારા માટે સન્માનની બાબત છે. અમારા માટે ખુશીની વાત ત્યારે હોત જ્યારે તે અમારી સાથે હાજર હોત. તે અમારી ફિલ્મનો જ એક ભાગ હતી. અમારી ફિલ્મમાં તેની નાનકડી ભૂમિકા છે. આ કોઈ આઇટમ-સૉન્ગ કે એના જેવો કોઈ સીન નથી. આશા રાખું છું કે શ્રીદેવીને પડદા પર આવી રીતે જોવી લોકોને પણ ગમશે.’
શ્રીદેવી વિશે વાત કરતી વખતે શાહરુખ ખૂબ ભાવુક પણ થઈ ગયો હતો. આ વિશે વધુમાં જણાવતાં શાહરુખે કહ્યું હતું કે ‘અમે જ્યારે ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે ખૂબ મજા આવી હતી. તે ઘણાં વર્ષોથી મારી સારી ફ્રેન્ડ રહી છે. તેની સાથે હું વધુ સમય નથી પસાર કરી શક્યો, પરંતુ તે મને ખૂબ પ્રેમ કરતી હતી. અમારી વચ્ચે મિત્રતાનો એક પ્રેમાળ સંબંધ હતો. અમે એકબીજાને ખૂબ ઓછા મળતાં હતાં, પરંતુ ખૂબ જ નજીક હતાં. પહેલા દિવસે શૂટિંગ કર્યા બાદ બીજા દિવસે તેનો કૉલ આવ્યો હતો, તેણે પૂછ્યું હતું કે હું સારી રીતે થોડું ડબિંગ કરી આપું? તે પોતાના ડાયલૉગની લાઇનને લઈને ખૂબ કૉન્શ્યસ હતી. હું તેને ખૂબ યાદ કરું છું.’