સાહિલ વૈદ્યને લાંબી ઇનિંગ રમતો જોવા માગે છે નસીરુદ્દીન શાહ
સાહિલ વૈદ્યને લાંબી ઇનિંગ રમતો જોવા માગે છે નસીરુદ્દીન શાહ
નસીરુદ્દીન શાહનું કહેવું છે કે જ્યાં સુધી સાહિલ વૈદ્ય લાંબી ઇનિંગ ન રમે ત્યાં સુધી તેમને જીવિત રહેવાની ઇચ્છા છે. સુશાંત સિંહ રાજપૂતની ‘દિલ બેચારા’માં તેણે કામ કર્યું હતું. તે હવે વરુણ ધવન અને સારા અલી ખાનની ‘કૂલી નંબર 1’ અને જૉન એબ્રાહમની ‘સત્યમેવ જયતે 2’માં પણ કામ કરી રહ્યો છે. સાહિલ ઘણા સમયથી નસીરુદ્દીન શાહના થિયેટર ગ્રુપમાં કામ કરે છે અને તેમને પોતાના મેન્ટોર માને છે. સાહિલ વિશે વાત કરતાં નસીરુદ્દીન શાહે કહ્યું હતું કે ‘સાહિલ વૈદ્ય એક જીવતું-જાગતું ઉદાહરણ છે કે એક ઍક્ટરની જર્નીમાં નેપોટિઝમ કોઈ ભાગ નથી ભજવી શકતું. સાહિલ તેની કરીઅરમાં કોઈ પણ પરિસ્થિતિમાં પોતાને સારો બનાવવા માટે એકદમ મક્કમ છે અને એને કોઈ હલાવી શકે એમ નથી. તેને ખબર છે કે દરેક અડચણ ટૂંક સમય માટે હોય છે અને કોઈ પણ નિષ્ફળતા તમને વધુ સમય સુધી દબાવી નથી રાખતી. તેની આ ક્વૉલિટી ખૂબ જ સારી છે અને એનાથી પ્રેરણા પણ મળે છે. મારી સાથે તેના સાથી કલાકાર માટે પણ એ વાત પ્રેરણાત્મક બની શકે છે. મારી થિયેટર કંપનીનો સાહિલ ખૂબ જ મહત્ત્વનો પાર્ટ છે અને મારા થિયેટરના કામમાં તેના કૉન્ટ્રિબ્યુશન માટે હું તેનો આભારી છું. તેની સાથે હંમેશાં મારી શુભેચ્છા છે. તે એક મૅચ-વિનિંગ, સ્ટ્રોકફુલ, હાર્ડ-હિટિંગ ઇનિંગ રમે ત્યાં સુધી મારે જીવિત રહેવું છે. ગૉડ બ્લેસ યુ સાહિલ.’