અનુભવ સિંહા: 'પ્લીઝ, તેમના પર લાઠી ન વરસાવો'
અનુભવ સિંહા
દેશમાં લૉકડાઉનને ૩ મે સુધી વધારવામાં આવતાં મોટી સંખ્યામાં મજદૂરો બાંદરા રેલવે-સ્ટેશને જમા થયા હતા. તેમને ઘણા સમજાવ્યા છતાં તેઓ ન સમજતાં પોલીસે આખરે તેમના પર લાઠીચાર્જ કરી તેમને ઘરે મોકલવા પર વિવશ કરવા પડ્યા હતા. દેશના વિવિધ ભાગોમાંથી મજૂરો મુંબઈ રોજગાર માટે આવે છે. જોકે લૉકડાઉનને કારણે તેઓ પોતાના વતન પાછા નથી જઈ શકતા. મંગળવારે તેઓ એ આશા લઈને જમા થયા હતા કે કદાચ તેમને પોતાના ઘરે જવા મળે. જોકે પોલીસને તેમને ત્યાંથી હટાવવા માટે બળપ્રયોગ કરવો પડ્યો હતો. એથી પોતાની લાગણી ટ્વિટર પર વ્યક્ત કરતાં અનુભવ સિંહાએ ટ્વીટ કર્યું હતું કે ‘હું ઉત્તર પ્રદેશની સીમા એવા બિહારનો છું. હું આ લોકોને સારી રીતે જાણું છું. તેમની સાથે જ હું મોટો થયો છું. તમને હું એક વાત કહેવા માગું છું કે આ લોકો જ્યારે રોષે ભરાય છે ત્યારે ખૂબ જ ગુસ્સામાં આવી જાય છે. તેઓ ઘરે જવા માટે સેંકડો માઇલ્સ સુધી ચાલી શકે છે. વર્તમાનમાં તેમને ભોજનની ચિંતા નથી. તેમની સાથે વાત કરો. પ્લીઝ તેમના પર લાઠીઓ ન વરસાવો.’