હું કરણી સેનાની માફી નહીં માગું : કંગના રનોટ
કંગના રનોટ
‘મણિકર્ણિકા : ધ ક્વીન ઑફ ઝાંસી’નો કરણી સેનાએ વિરોધ કર્યો હોવાની ચર્ચા ચાલી હતી. આ કન્ટ્રોવર્સીમાં એવી પણ વાતો બહાર આવી હતી કે તેમણે સ્પેશ્યલ સ્ક્રીનિંગની ડિમાન્ડ કરી છે. જોકે કંગનાએ તેમને વળતો જવાબ આપ્યો હતો કે જો કરણી સેનાએ તેને હેરાન કરવાનું બંધ ન કર્યું તો તે એક-એકનો નાશ કરી દેશે. આ કમેન્ટ બાદ કરણી સેનાએ કહ્યું હતું કે તેમણે કોઈ વિરોધ નથી કર્યો અને એથી જ કંગનાએ તેની કમેન્ટને લઈને માફી માગવી જોઈએ. આ વિશે પૂછતાં કંગનાએ કહ્યું હતું કે ‘હું કોઈની પણ માફી નહીં માગું. મેં જ્યારે કોઈ ભૂલ જ ન કરી હોય ત્યારે મેં કદી પણ કોઈની માફી નથી માગી. અમે પ્રૉમિસ આપી હતી કે અમે રાણી લક્ષ્મીબાઈ વિશે કોઈ ખોટાં દૃશ્યો કે માહિતી નથી દેખાડ્યાં અને એથી જ તેમણે સપોર્ટ કરવો જોઈએ. રાણી લક્ષ્મીબાઈ કોઈ મારી સંબંધી નથી અને મારું માનવું છે કે તેઓ સમગ્ર દેશની દીકરી છે અને એથી જ બધાએ ફિલ્મને સપોર્ટ કરવો જોઈએ. શ્રી રાજપૂત કરણી સેનાએ તેમના ઈગો કાર્ડનો ઉપયોગ મારી સામે ન કરવો જોઈએ, કારણ કે હું કોઈની માફી નથી માગવાની.’