ઘરમાં ક્યાં શું છે અને કેવી રીતે ઘર ચાલે છે એ પોતે જાણવું જરૂરી: બિગબી
અમિતાભ બચ્ચનનું કહેવું છે કે ઘરમાં ક્યાં શું મૂક્યું છે અને ઘર કેવી રીતે ચાલે છે એ વિશે દરેકને ખ્યાલ હોવો જોઈએ. કોરોના વાઇરસને કારણે લૉકડાઉન હોવાથી તેઓ ઘરમાં છે અને ઘર વિશે માહિતી મેળવી રહ્યા છે. તેમના માટે ઘણા લોકો ઘરમાં કામ કરવા માટે છે અને એથી જ તેમને આજ સુધી આ વિશે જાણકારી મેળવવાનો સમય નહોતો મળ્યો. આ વિશે અમિતાભ બચ્ચનનું કહેવું છે કે ‘અમુક સંજોગો અને પરિસ્થિતિમાં વ્યક્તિ કેટલીક બાબતો વગર ચલાવતાં શીખી જાય છે અથવા તો એનો પર્યાય શોધી કામને પૂરું કરે છે. આ કોઈ દુઃખની વાત નથી, પરંતુ આપણી દરેકની અંદર છુપાયેલી એક ક્વૉલિટી છે. આપણે કોઈ પણ ઇનોવેટિવ આઇડિયા દ્વારા આપણો રસ્તો શીધી કાઢીએ છીએ અને રસ્તામાં આવતી દરેક મુશ્કેલીનો સામનો કરીએ છીએ. આપણે એક રૂટીનમાં રહેવા માટે ટેવાયેલા છીએ અને એથી જ આપણી લાઇફમાં બદલાવ આવે ત્યારે આપણને તકલીફ પડે છે, કારણ કે આપણે આપણી કમ્ફર્ટેબલ લાઇફમાં એના પર્યાય વિશે વિચાર જ નહોતો કર્યો. એવું ઘણું કામ હોય છે જે આપણે જ કરવું જોઈતું હોય છે, પરંતુ આપણે કરતા નથી. ઘરમાં ક્યાં શું મૂક્યું હોય છે અને એ કેવી રીતે ચાલે છે એ આપણે દરેકે જાણવું જોઈએ. આપણા માટે કામ કરતી વ્યક્તિઓ પર બધું છોડવા કરતાં આપણે પોતે કામ કરવું જોઈએ. રૂમ, બાથરૂમ અને લૉન્ડ્રી જાતે કરો તો તમને પણ અહેસાસ થાય છે કે તમે જે કામ કર્યું હોય એને સાફ કરતી વખતે તમારા ઘરનો સ્ટાફ કેવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો હોય છે.’