'ઈશ્કબાઝ' ફૅમ અભિનેત્રી શ્રેણુ પરીખ કોરોના પૉઝિટિવ
શ્રેણુ પરીખ અને તેને સોશ્યલ મીડિયા પર કરેલી પોસ્ટ
'ઈશ્કબાઝ' ફૅમ અભિનેત્રી શ્રેણુ પરીખ (Shrenu Parikh) કોરોના વાયરસ (COVID-19) સંક્રમણનો ભોગ બની છે. અભિનેત્રી અત્યારે વડોદરામાં પરેન્ટ્સ સાથે છે અને વડોદરાની જ હૉસ્પિટલમાં સારવાર લઈ રહી છે. આ વાત અભિનેત્રીએ પોતે સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવી હતી.
કોરોના વાયરસને લીધે લૉકડાઉન કરવામાં આવ્યું ત્યારે શ્રેણુ પરીખ મુંબઈમાં જ હતી. ત્યારબાદ તે વિશેષ પરવાનગી લઈને જાતે કાર ડ્રાઈવ કરીને મુંબઈથી વડોદરા ગઈ હતી. ત્યારે પાલિકાને જાણ પણ કરી હતી અને 14 દિવસ સેલ્ફ ક્વોરન્ટાઈન પણ થઈ હતી. છતા તેને કોરોના કઈ રીતે થયો એ ખબર જ નથી.
ADVERTISEMENT
અભિનેત્રીએ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને કોરોના પૉઝિટિવ હોવાનું જણાવ્યું હતું. તેણે લખ્યું હતું કે, હું થોડો સમય બધાથી દૂર હતી પરંતુ વાઈરસથી હું બચી શકી નહીં. થોડાં દિવસ પહેલાં જ મારો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હાલમાં હું હૉસ્પિટલમાં છું અને મારી તબિયત સુધારા પર છે. મારા તથા મારા પરિવાર માટે પ્રાર્થના કરો. હું કોરોના વોરિયર્સનો આભાર માનું છું. આવા મુશ્કેલ સમયમાં તેઓ દર્દીઓની સારવાર કરી રહ્યાં છે.
પોસ્ટ શૅર કરીને કેપ્શનમાં શ્રેણુએ લખ્યું હતું કે, બહુ જ ધ્યાન રાખવા છતાંય હું પૉઝિટિવ આવી. આ અદૃશ્ય રાક્ષસની શક્તિની કલ્પના તો કરો જેની સામે આપણે લડી રહ્યાં છીએ. મહેરબાની કરીને કાળજી રાખો અને પોતાની જાતને સલામત રાખો.
આ પણ વાંચો: દર્શકોની આતુરતાનો આવ્યો અંત: 22 જૂલાઈથી જોવા મળશે 'તારક મહેતા'ના નવા એપિસોડ
2008માં મિસ વડોદરા સ્પર્ધામાં ત્રીજુ સ્થાન શોભાવનાર શ્રેણુ પરીખે 2010માં સિરિયલ 'ગુલાલ'માં રૂપાનો રોલ ભજવીને કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેણે ટીવી સિરિયલ 'હવન', 'બ્યાહ હમારી બહૂ કા', 'ઈસ પ્યાર કો ક્યા નામ દૂં', 'એક બાર ફિર', 'ઈશ્કબાઝ' તથા 'એક ભ્રમઃ સર્વગુણ સંપન્ન' જેવા ટીવી શોમાં કામ કર્યું છે.