રોહિત શેટ્ટીની ઍક્શન થ્રિલરમાં કામ કરવા માગે છે આયુષ્માન ખુરાના
આયુષ્માન ખુરાનાને હવે રોહિત શેટ્ટીની ઍક્શન-થ્રિલર ફિલ્મમાં કામ કરવાની ઇચ્છા છે. અલગ-અલગ વિષયોવાળી ફિલ્મોથી લોકોને મનોરંજન પૂરું પાડનાર આયુષ્માનને ઍક્શન ફિલ્મોમાં કામ કરવું છે. તે હવે ‘શુભ મંગલ ઝ્યાદા સાવધાન’માં ગેનું પાત્ર ભજવી રહ્યો છે. આયુષ્માન દમદાર સ્ક્રિપ્ટમાં ભરોસો કરે છે. એ વિશે જણાવતાં આયુષ્માને કહ્યું હતું કે ‘બે કલાક સુધી લોકોને થિયેટરમાં જોડી રાખવા ખૂબ અગત્યનું છે. વિષય ભલે સાદો હોય, પરંતુ સારો હોવો જોઈએ. જોકે ફિલ્મ સારી ચાલે તો એ વિષય પણ કામ કરી જાય છે. હાલમાં તો મને ઍક્શન-થ્રિલર ફિલ્મમાં કામ કરવાની ઇચ્છા છે. મને રોહિત શેટ્ટી સાથે કામ કરવું પણ ગમશે. જોકે મારા માટે એ તદ્દન અલગ ઝોન છે. હું વર્તમાનમાં જીવું છું. જોકે મારી આંખો હંમેશાં ભવિષ્ય પર મંડાયેલી હોય છે.
હું હંમેશાં એમ વિચારું છું કે હવે શું કરવાનું છે અને હું ઉત્સાહિત પણ ખૂબ હોઉં છું. હાલમાં મને જે પ્રકારના વિષયો મળી રહ્યા છે એ ખૂબ અદ્ભુત છે. મારામાં એક પ્રકારનો સારી ફિલ્મો ગુમાવી બેસવાનો ડર હોય છે. મારી ઇચ્છા હોય છે કે કોઈ ચોક્કસ વિષય પર પહેલાં હું જ કામ કરું. આ પ્રકારના ડરને કારણે મને નવા-નવા વિષયો પણ મળી જાય છે.’