દિલ્હી કરતાં મુંબઈનો ટ્રાફિક સો ઘણો સારું છે: અર્શદ વારસી
અર્શદ વારસી
અર્શદ વારસીનું કહેવું છે કે મુંબઈમાં ટ્રાફિકની સ્થિતિ દિલ્હી અને અન્ય શહેરો કરતાં ઘણી સારી છે. ટ્રાફિકની સ્થિતિ વિશે પોતાનાં વિચારો જણાવતાં અર્શદ વારસીએ કહ્યું હતું કે ‘મારુ માનવું છે કે લોકોમાં રોડ સલામતી વિશે જાગરુક્તા લાવવી ખૂબ જરૂરી છે. હું ભારતભરમાં પ્રવાસ કરું છું. મેં દરેક ઠેકાણે ટ્રાફિકની સ્થિતિ જોઈ છે. એથી હું એમ કહી શકું છું કે દેશનાં અન્ય ભાગો કરતાં મુંબઈમાં ટ્રાફિકની સિસ્ટમ અનેક ગણી સારી છે. જોકે રોડ સેફ્ટીની બાબતમાં આપણે ખૂબ પાછળ છીએ.’
લોકોને રોડ સલામતીનાં નિયમો અનુસરવાની સલાહ આપતાં અર્શદે કહ્યું હતું કે ‘આપણે આ દિશામાં હજી ઘણું ખરું કરવાની જરૂર છે. જે લોકો ગાડી ચલાવતા હોય તેમને રાહદારીઓ વિશે ખાસ વિચારવું જોઈએ. સાથે જ તેમણે લૅન કટિંગ પણ ના કરવી જોઈએ કારણ કે તમે કેટલી પણ ઝડપથી ગાડી દોડાવો એનાંથી માત્ર પાંચથી દસ મિનિટનો જ ફરક પડવાનો છે. મારું માનવું છે કે જો તમે સલામતીનાં નિયમો અપનાવશો જેવા કે સીટ બેલ્ટ્સ પહેરવા અને ટ્રાફિક સિગ્નલ્સનું પાલન કરશો તો આપણાં શહેરની ટ્રાફિકની સિસ્ટમ ઘણી સરળ બનશે. સાથે જ આપણે આપણાં મુકામે પણ જલદી પહોંચી શકીશું.’
ADVERTISEMENT
લોકોને હેલ્મેટ પહેરવાની સલાહ આપતાં અર્શદ વારસીએ કહ્યું હતું કે ‘મેં આ ઘણી જગ્યાએ જોયુ છે કે લોકો હેલ્મેટ નથી પહેરતાં. મેં લોકોને અનેકવાર નિયમોનું પાલન કરવા અને હેલ્મેટ પહેરવાની સલાહ આપી છે. મને લાગે છે કે આ વિશે સતત લોકોને સજાગ કરતા રહેવુ જોઈએ અને ત્યાર બાદ જ ધીમે-ધીમે પરિવર્તન દેખાવા માગશે. હું ફરી એકવાર કહેવા માગું છું કે મુંબઈમાં ટ્રાફિકની સ્થિતિ દિલ્હી કરતાં ખૂબ સારી છે. એથી એમ લાગે છે કે આપણે પરિવર્તન માટે તૈયાર છીએ.’
દિલ્હી અને મુંબઈની ટ્રાફિકની સ્થિતિની સરખામણી કરતા અર્શદે કહ્યું હતું કે ‘મુંબઈમાં તમે રોડ્સ પર ડ્રાઇવ કરી શકો છો. જોકે દિલ્હીમાં તો છાશવારે ગાડીઓ ઍક્સિડેન્ટમાં ડૅમેજ થાય છે. એથી આશા રાખું છું કે વધુમાં વધુ લોકો આ વાત સમજે અને એમ પણ ઝડપથી ગાડી ચલાવવાથી કાંઇ નથી મળવાનું. ડ્રાઇવિંગ કરતી વખતે દિમાગ શાંત રાખવુ જરૂરી છે. કાયદાનું અનુકરણ કરવુ જોઈએ. મને લાગે છે કે ટ્રાફિકનાં કાયદાઓ યોગ્ય છે અને એને અનુસરવાથી તમે સલામત અને સમયસર ઘરે પહોંચી શકશો.’