લોકમાન્ય ટિળક બનશે અનંત મહાદેવન
૨૦૧૭માં શરૂ થયેલી સિરિયલ ‘મેરે સાંઈ - શ્રદ્ધા ઔર સબુરી’ સોની ટેલિવિઝનની લોકપ્રિય સિરિયલો પૈકીની એક છે. શિર્ડીના સાંઈબાબાના જીવન પર આધારિત આ સિરિયલ સચિન આમ્બ્રે અને હર્ષ અગ્રવાલે ડિરેક્ટ કરી છે અને હિન્દી ફિલ્મો તથા સિરિયલોના જાણીતા અભિનેતા તુષાર દળવી હાલમાં સાંઈબાબાનું મુખ્ય પાત્ર ભજવે છે. અગાઉ નાની ઉંમરના સાંઈબાબામાં અભિષેક નિગમ અને અબીર સૂફી જોવા મળ્યા હતા.
વાત એમ છે કે ‘મેરે સાંઈ – શ્રદ્ધા ઔર સબુરી’માં હવે રસપ્રદ ટ્રૅક શરૂ થવાનો છે, જેમાં બાળ ગંગાધર ટિળક એટલે કે ભારતના સ્વતંત્રતા સંગ્રામના લોકપ્રિય નેતા લોકમાન્ય ટિળકના પાત્રનો પરિચય કરાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે નેતા ઉપરાંત શિક્ષક, સમાજસુધારક અને વકીલ એવા લોકમાન્ય ટિળક સાંઈબાબાના અંતિમ દિવસોના સમયગાળામાં શિર્ડી ગયા હતા અને સાંઈબાબાને મળ્યા હતા.
ADVERTISEMENT
આ ઇન્ટરેસ્ટિંગ ટ્રૅક સિરિયલમાં દર્શાવાય એ સમય આવી ચૂક્યો છે અને લોકમાન્ય ટિળકનું પાત્ર જાણીતા ઍક્ટર, ડિરેક્ટર અને સ્ક્રીનરાઇટર અનંત મહાદેવન ભજવવાના છે. ફિલ્મો ડિરેક્ટ કરનાર અને અઢળક ફિલ્મોમાં ઍક્ટિંગ કરનાર અનંત મહાદેવન છેલ્લે સોની લિવની ઉરી અટૅક પર આધારિત સિરીઝ ‘અવરોધ’માં સતીશ મહાદેવન નામના પાત્રમાં જોવા મળ્યા હતા.