રાજ્યપાલને મળીને વાય સિક્યૉરિટીની ડિમાન્ડ કરી પાયલ ઘોષે
રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીની સાથે પાયલ ઘોષ રામદાસ આઠવલે સાથે
મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને ગઈ કાલે મળીને પાયલ ઘોષે વાય સિક્યૉરિટીની ડિમાન્ડ કરી છે. પાયલે હાલમાં જ અનુરાગ કશ્યપ પર સેક્સ્યુઅલ હૅરૅસમેન્ટનો આરોપ મૂક્યો છે. આ મીટિંગ રાજ ભવનમાં યોજાઈ હતી. પાયલની સાથે યુનિયન મિનિસ્ટર ઑફ સ્ટેટ ફૉર સોશ્યલ જસ્ટિસ ઍન્ડ એમ્પાવરમેન્ટ રામદાસ આઠવલે પણ હતા. આ વિશે પાયલના વકીલ નીતિન સાતપુતેએ કહ્યું હતું કે ‘અમે ગવર્નરને મળીને તેમને પ્રોટેક્શન માટે લેટર આપ્યો હતો. તેમ જ તેમને કેસ વિશે પણ માહિતગાર કર્યા હતા. રામદાસ આઠવલેજીએ પણ તેમને વિનંતી કરી હતી કે તેઓ આ કેસમાં ધ્યાન આપે, કારણ કે પોલીસ આ વિશે કંઈ નથી કરી રહી. તેઓ પણ રાજ્યમાં થતા મહિલાઓ સામેના અપરાધની વિરુદ્ધ છે અને આ કેસમાં તે ધ્યાન આપશે એવું તેમણે કહ્યું હતું. મેં પાયલ અને મારા માટે વાય કૅટેગરીની સિક્યૉરિટીની ડિમાન્ડ કરી છે. પાયલની લાઇફ પર જોખમ છે અને હું તેને પ્રોટેક્ટ કરી રહ્યો છું. આથી હું પણ અસામાજિક તત્ત્વોની ચપેટમાં આવી શકું છું.’
આ વિશે રાજ્યપાલે પણ ટ્વીટ કર્યું હતું. તેમ જ પાયલે પણ ફોટો શૅર કરીને ટ્વીટ કર્યું હતું કે ‘મહારાષ્ટ્રના માનનીય ગવર્નર શ્રી ભગત સિંહ કોશ્યારી સર સાથે મુલાકાત કરી હતી. તેમણે મને સપોર્ટ કર્યો હતો. ના પાડનારાઓ ઘણા છે, પરંતુ તેઓ મને કોઈ દિવસ એટલે કે કોઈ દિવસ અટકાવી નહીં શકે.’