સંજય દત્તની દીકરી ત્રિશલા દત્તે બાળપણથી લઈને અત્યાર સુધીના દુઃખની વાત કરી
સંજય દત્તની દીકરી ત્રિશલા દત્ત સામાન્ય રીતે લાઇમલાઇટથી દૂર રહે છે
સંજય દત્તની દીકરી ત્રિશલા દત્ત સામાન્ય રીતે લાઇમલાઇટથી દૂર રહે છે, પરંતુ તાજેતરમાં તેણે મમ્મી રિચા શર્માના નિધન અને પિતા સંજય દત્તના જેલમાં જવાના સમય વિશે ખુલ્લેઆમ વાતો કરી છે. ત્રિશલા ન્યુ યૉર્કમાં રહે છે અને મેન્ટલ હેલ્થ પ્રોફેશનલ તરીકે કામ કરે છે. ત્રિશલા ભલે સંજય દત્ત જેવા મોટા સ્ટારની દીકરી હોય, પરંતુ સ્ટારકિડ હોવા છતાં બાળપણથી લઈને અત્યાર સુધી તેણે ઘણાં દુઃખ અને સંઘર્ષનો સામનો કર્યો છે.
મારી મમ્મીનું ૧૯૯૬માં અવસાન થયું ત્યારે હું ૮ વર્ષની હતી એમ જણાવતાં ત્રિશલા કહે છે, ‘તેનું અવસાન બ્રેઇન-ટ્યુમરને કારણે થયું હતું. તેને ૧૯૮૯માં આ બીમારી વિશે ખબર પડી હતી. જ્યારે ડૉક્ટરોને એની જાણ થઈ ત્યારે તે ચોથા સ્ટેજ પર પહોંચી ગયું હતું. આ પ્રકારનું બ્રેઇન-કૅન્સર સૌથી ખતરનાક અને આક્રમક કૅન્સરમાંનું એક છે. મેં જીવનમાં મોટાં તોફાનોનો સામનો કર્યો છે. મારી જિંદગીમાં ઘેરાં કાળાં વાદળો છવાયેલાં રહ્યાં છે. શું હું સિલ્વર સ્પૂન સાથે જન્મી હતી? હા પણ અને ના પણ. લોકો જેમ વિચારે છે તેમ મને બધું સહેલાઈથી નથી મળ્યું. મને કંઈ પણ થાળીમાં પીરસીને આપવામાં નહોતું આવ્યું. આજે હું જ્યાં છું ત્યાં પહોંચવા માટે મારે ખૂબ મહેનત કરવી પડી છે. દરેક માણસની જેમ મારા પણ આંતરિક સંઘર્ષો છે. હું પર્ફેક્ટ નથી. મેં થેરપિસ્ટ બનવાનો નિર્ણય એટલા માટે લીધો કે હું લોકોને સમજાવી શકું કે સંઘર્ષ કરવો સ્વાભાવિક છે અને હંમેશાં બધું ઠીક હોય એવું જરૂરી નથી.’
