જાન્યુઆરી સુધી લખનઉમાં સત્યમેવ જયતે 2નું શૂટિંગ કરશે જૉન - દિવ્યા ખોસલા
જૉન અબ્રાહમ, દિવ્યા ખોસલા કુમાર
જૉન એબ્રાહમ અને દિવ્યા ખોસલા કુમાર ‘સત્યમેવ જયતે 2’નું શૂટિંગ 2021ના જાન્યુઆરી સુધી લખનઉમાં કરશે. ભૂષણ કુમાર દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહેલી આ ફિલ્મને મિલાપ ઝવેરી ડિરેક્ટ કરશે. આ ફિલ્મનું શૂટિંગ આજથી લખનઉમાં શરૂ કરવામાં આવ્યું છે. આ વિશે મિલાપ ઝવેરીએ કહ્યું હતું કે ‘પહેલા દિવસે અમે ફક્ત લીડ જોડી સાથે શૂટિંગ કરવાના છીએ. ત્યાર બાદ ધીમે-ધીમે હર્ષ છાયા, ગૌતમી કપૂર, શાદ રંધાવા, અનુપ સોની અને સાહિલ વૈદ જોડાશે. અમે લખનઉની દરેક જગ્યાએ શૂટિંગ કરીશું જેમાં હેરિટેજ પૅલેસ અને કૉટેજિસનો પણ સમાવેશ થાય છે. અમારા માટે કેટલીક લાઇવ લોકેશનને સીલ કરવામાં આવશે જેથી દર્શકોનો અમને ત્રાસ ન પડે. સ્પૉટ પર અમારી ટીમ અને ઍક્ટર્સ જ હાજર હશે.’
આ ફિલ્મના ઍક્શન શૉટ્સને પણ લખનઉના રસ્તા પર શૂટ કરવામાં આવશે. આ મુશ્કેલ સમયમાં પણ જૉને જાહેરમાં શૂટ કરવાની તૈયારી દેખાડી એ માટે મિલાપે તેનો આભાર માન્યો હતો. જોકે આ તેમના માટે એક ચૅલેન્જ છે, પરંતુ ભૂષણ કુમારે દરેક જગ્યાએ સેફ બનાવવાની બાંહેધરી આપી છે. આ વિશે ભૂષણ કુમારે કહ્યું હતું કે ‘લાઇવ લોકેશન પર શૂટિંગ કરવાનું ક્રૂ માટે ખૂબ જ ડરામણું હોઈ શકે છે. જોકે આ સમય બાદ દર્શકોને એન્ટરટેઇનમેન્ટ પણ આપવું જરૂરી છે. અમે જ્યારે આ ફ્રૅન્ચાઇઝીને આગળ વધારવાનું નક્કી કર્યું હતું ત્યારે અમે 2018માં આવેલી ઓરિજિનલ ફિલ્મ કરતાં એને વધુ અદ્ભુત બનાવવાનું નક્કી કર્યું હતું. આ લૉકડાઉન દરમ્યાન મિલાપ અને જૉને સાથે મળીને એક્શન દૃશ્યને ખૂબ જ ઊંચાઈ પર લઈ ગયા છે.’
ભૂષણ કુમારની સાથે આ ફિલ્મને નિખિલ અડવાણી, ક્રિષ્ના કુમાર, મોનિષા અડવાણી, મધુ ભોજવાણી પ્રોડ્યુસ કરશે. નિખિલ અડવાણીના જણાવ્યા મુજબ આ ફિલ્મ પહેલાં મુંબઈ પર આધારિત હતી. જોકે કોરોના વાઇરસને કારણે સ્ક્રિપ્ટમાં બદલાવ કરી આ ફિલ્મનો બેઝ લખનઉ કરવામાં આવ્યો છે. આ ફિલ્મનું શૂટિંગ જાન્યુઆરી સુધી લખનઉમાં થશે અને ત્યાર બાદ મુંબઈના સ્ટુડિયોમાં થોડા દિવસનું શૂટિંગ કરવામાં આવશે.