આમિર ખાન પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફને કારણે ચર્ચામાં છવાયેલો છે ત્યારે તેની દીકરી આઇરા ખાનને એ વાતનો અફસોસ છે કે તે એક રૂપિયો પણ નથી કમાઈ રહી અને તેણે જીવનમાં કંઈ ખાસ નથી કર્યું.
આઇરા ખાન
આમિર ખાન પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફને કારણે ચર્ચામાં છવાયેલો છે ત્યારે તેની દીકરી આઇરા ખાનને એ વાતનો અફસોસ છે કે તે એક રૂપિયો પણ નથી કમાઈ રહી અને તેણે જીવનમાં કંઈ ખાસ નથી કર્યું. હાલ ૨૮ વર્ષની આઇરાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે ‘હું આજે પણ દુનિયામાં બેકાર વ્યક્તિ છું અને મને એ વાતનો અફસોસ છે.’ આઇરા હાલમાં માનસિક સ્વાસ્થ્ય અને કલ્યાણ સંગઠન ‘અગત્સુ’ની સંસ્થાપક અને ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર છે.
હાલ આમિર ખાન અને આઇરા ખાને એક સંયુક્ત ઇન્ટરવ્યુ આપ્યો હતો. આ ઇન્ટરવ્યુમાં આઇરાએ કહ્યું હતું કે ‘મારા પિતાએ મારા પર ઘણા પૈસા ખર્ચ કર્યા છે. હું આજે પણ દુનિયામાં બેકાર વ્યક્તિ છું, કારણ કે હું કંઈ જ નથી કરી રહી.’ દીકરીની આ વાત સાંભળીને આમિરે પ્રતિભાવ આપતાં જણાવ્યું કે એનો મતલબ એ છે કે તે પૈસા નથી કમાઈ રહી. આ પછી આમિરે દીકરીને સલાહ આપી કે ‘કેટલાક લોકો બીજા લોકોને કામમાં આવે છે અને એના બદલે પૈસા લે છે. હું જ્યારે લોકોને કામ લાગુ ત્યારે પૈસા લઉં કે ન લઉં એ અલગ મુદ્દો છે. તમે લોકોને મદદ કરો એ જ મોટી વસ્તુ છે. તું આટલા લોકોની મદદ કરી રહી છે એ એક પિતા તરીકે મારા માટે ગર્વની વાત છે. તમે પૈસા કમાઓ છો કે નહીં એ મારા માટે જરૂરી નથી, પણ તમે સારું કામ કરો એ મારા માટે જરૂરી છે. તારા જીવનનો હેતુ સમજ અને લોકોને કામમાં મદદ કર. તારાં મમ્મી-પપ્પા આર્થિક રીતે સક્ષમ છે એટલે તારે નોકરી કરીને પૈસા કમાવાને બદલે અગત્સુ પર ફોકસ કરવું જોઈએ.’

