ગીતા બસરાએ ક્રિકેટર હરભજન સિંહ સમક્ષ મૅરેજ માટે આવી શરત મૂકી હતી
ગીતા બસરા, ક્રિકેટર હરભજન સિંહ
ઍક્ટ્રેસ ગીતા બસરા અને ક્રિકેટર હરભજન સિંહની ગણતરી પ્રેમાળ કપલ તરીકે થાય છે. તેમણે ૨૦૧૫ની ૨૯ ઑક્ટોબરે લગ્ન કર્યાં હતાં. તેમનાં લગ્નને લગભગ એક દાયકો થવા આવ્યો છે. હાલમાં એક ઇન્ટરવ્યુમાં ગીતા બસરાએ જણાવ્યું હતું કે હરભજન સિંહે જ્યારે તેની ૩૦૦ વિકેટ લેવાની શરત પૂરી કરી ત્યારે જ તેમણે લગ્ન કર્યાં હતાં.
હરભજન સિંહ સાથેની લવ-સ્ટોરી વિશે વાત કરતાં ગીતા બસરાએ જણાવ્યું હતું કે ‘મેં ઇમરાન હાશમીની સાથે ‘દિલ દિયા હૈ’ કરી હતી જે ૨૦૦૬માં રિલીઝ થઈ હતી. આ પછી ઇમરાન સાથે જ ‘ધ ટ્રેન’માં કામ કર્યું હતું જે એના પછીના વર્ષે રિલીઝ થઈ હતી. એ જ વર્ષે હરભજને ‘ધ ટ્રેન’ના પોસ્ટરમાં મને જોઈ અને તેને મારી સાથે પ્રેમ થઈ ગયો. તેણે યુવરાજ સિંહને મારો નંબર લાવી આપવાનું કહ્યું. યુવીના બૉલીવુડમાં ઘણા કૉન્ટૅક્ટ હતા એટલે તેને મારો નંબર મળી ગયો. અમે થોડી વાતચીત કરી. આ પછી તેની ટીમે વર્લ્ડ કપ જીત્યો હતો અને એના થોડા દિવસ પછી મેં મેસેજ કર્યો, ‘શાબાશ! અભિનંદન!’ બસ, આટલું જ. અમે ફરી સંપર્કમાં આવ્યાં. આ પછી જ્યારે અમે મળ્યાં ત્યારે તે ખૂબ જ સ્પષ્ટ હતો અને તેણે તરત જ કહ્યું, ‘તારી સાથે જ લગ્ન કરીશ.’ મને આ સાંભળીને બહુ આંચકો લાગ્યો, કારણ કે એ સમયે હું તો માત્ર ૨૧ વર્ષની હતી. હરભજનને પહેલી નજરે પ્રેમ થયો હતો, પણ મેં હા કહેવામાં ૧૦ મહિના લીધા. મેં તેને કહ્યું કે જે દિવસે તું ૩૦૦ વિકેટ લઈશ એ દિવસે જ હું હા કહીશ. થોડા દિવસો પછી તેણે ૩૦૦ વિકેટ લીધી એટલે મેં પણ કહ્યું કે ચાલો, લગ્ન કરી લઈએ.’
