અનુરાગ કશ્યપે JNUમાં થયેલી હિંસા વિશે કંઈક કહ્યું આવું...
અનુરાગ કશ્યપ
અનુરાગ કશ્યપે સરકારની નિંદા કરતાં જણાવ્યું હતું કે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી(JNU)માં ફેલાવવામાં આવેલી હિંસામાં સરકારના સમર્થકો સંડોવાયેલા હોવાથી તેમને અરેસ્ટ કરવામાં નહીં આવે. રવિવારે રાતે યુનિવર્સિટીમાં ટીચર્સ અને વિદ્યાર્થીઓ પર માસ્ક પહેરેલા લોકોએ લાકડી અને સળિયાઓથી હુમલો કર્યો હતો. આ ઘટનાનાં પડઘા પૂરા દેશમાં પડ્યા છે. એને જોતાં સોમવારે ગેટ-વે-ઑફ ઇન્ડિયા પાસે આ ઘટનાનો વિરોધ કરવા લોકો ભારે સંખ્યામાં જમા થયા હતાં. એ વિદ્યાર્થીઓ અને ટીચર્સને ટેકો આપવા માટે ફિલ્મ મેકર અનુરાગ કશ્યપ અને સિંગર વિશાલ દાદલાણી પણ હાજર રહ્યા હતાં. એ દેખાવને લઈને અનુરાગ કશ્યપે કહ્યું હતું કે ‘મેં અહીંયા ચાલી રહેલા વિરોધને જોયો હતો અને નિર્ણય લીધો કે હું પણ આ વિદ્યાર્થીઓ સાથે જોડાઈ જાઉં. સરકાર એ હિંસક ઘટનામાં સામેલ દોષીઓને અરેસ્ટ નહીં કરે કારણ કે તે લોકો સરકારનાં જ માણસો હતા. પોલીસે આ ઘટનાને અટકાવવા માટે JNUમાં પ્રવેશ નહોતો કર્યો, પરંતુ જામિયા મિલીયા ઇસ્લામિયામાં ઘુસીને વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કર્યો હતો.’
આ વિરોધ પ્રદર્શનમાં પોતાનો ટેકો દેખાડવા માટે હાજર વિશાલ દાદલાણીએ કહ્યું હતું કે ‘અમે ધર્મનિરપેક્ષ ભારતને સપોર્ટ કરવા માટે આગળ આવ્યા છે. આ વિરોધ પ્રદર્શનને ટેકો આપવા પાછળનો મારો આ એક જ ઉદ્દેશ છે. સૌના માટે એક જ ભારત છે.’