ગુપ્તકાળ દરમ્યાન ભારતમાં પથ્થરો અને ઈંટોનાં મંદિરો બનવાનું શરૂ થયું અને આઠમી સદી પછી મંદિરોમાં શિલ્પકલા અને વાસ્તુકલાનો ઉપયોગ થવાનું શરૂ થયું
અરાઉન્ડ ધી આર્ક
તેરમી સદીમાં નિર્માણ પામેલાં મંદિરોમાં વાસ્તુકલા અને શિલ્પકલાના એકેએક નિયમોનું પાલન થયું હોય એવું જો કોઈ મંદિર હોય તો એ કોણાર્કનું સૂર્ય મંદિર.
મંદિર અને એ પણ અદ્ભુત શૈલીનાં મંદિરોનું નિર્માણ ભારતમાં ક્યારથી શરૂ થયાનું જો શોધવા બેસો તો વાત છેક ચોથી સદી સુધી પહોંચે. એ સમયે ભારતમાં ગુપ્તકાળ ચાલતો હતો. રાજા ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા પહેલી વાર ભવ્યાતિભવ્ય મંદિર બનવાનું શરૂ થયાનો ઇતિહાસમાં ઉલ્લેખ પણ છે તો સાથોસાથ એ વાતનો પણ ઉલ્લેખ છે કે એ પહેલાંના સમયમાં ભારતમાં મંદિરો હતાં પણ એ મંદિરો લાકડાનાં બનાવવામાં આવતાં હતાં, પણ ગુપ્તકાળ દરમ્યાન પથ્થર અને ઈંટોનાં મંદિર બનવાનું શરૂ થયું. લાકડાનાં મંદિરો કયા કારણે બનતાં એના વિશે બહુ સંશોધન નથી થયું, પણ અનુમાન મૂકવામાં આવે છે કે એ સમયે કદાચ આપણે ત્યાં ધરતીકંપની ઘટનાઓ વધારે બનતી હશે તો એવી પણ ધારણા મૂકવામાં આવે છે કે એ સમયે લૂંટફાટની ઘટનાઓ પણ પારાવાર બનતી હશે, જેને કારણે મંદિરને નુકસાન થાય તો પણ નવેસરથી મંદિર ઊભું કરવાનું કામ થઈ શકે. આપણા દેશના પૂર્વ ભાગનાં અમુક રાજ્યોમાં હજી પણ લાકડાનાં મંદિરો જોવા મળે છે પણ એ મંદિર ચોથી સદીનાં હોય એવું માની ન શકાય, કારણ કે એ પછી દેશમાં પારાવાર કુદરતી હોનારતો આવી, જેમાં લાકડાનાં મંદિરોનો નાશ થયો તો અનેક જગ્યાએ એવું પણ બન્યું કે લાકડાનાં મંદિરોના સ્થાને પથ્થર અને ઈંટોનાં મંદિરો બની ગયાં.