IRCTCની નવી બૌદ્ધ સર્કિટ ટુરિસ્ટ ટ્રેન, બૌદ્ધ સ્થળોનો કરી શકાશે પ્રવાસ
બૌદ્ધ સર્કિટ ટુરિસ્ટ ટ્રેન ભગવાન બુદ્ધના જીવન સાથે જોડાંયેલા સ્થળોનો પ્રવાસ કરાવશે.
આઇઆરસીટીસીએ દિલ્હીના સફદરગંજ રેલવે સ્ટેશનથી નવી બૌદ્ધ સર્કિટ ટુરિસ્ટ ટ્રેનની શરૂઆત કરી છે. આ ટ્રેન દ્વારા પ્રવાસીઓ ભગવાન બુદ્ધના જીવન સાથે જોડાંયેલા મહત્વના સ્થળોનો પ્રવાસ કરી શકશે. ટ્રેનમાં ઘણી સ્પેશિયલ સુવિધાઓનું ધ્યાન રાખવામાં આવ્યું છે. ભગવાન બુદ્ધ સાથે જોડાયેલા તીર્થસ્થળોના દર્શન કરાવવા માટે ટ્રેન 8 દિવસ અને 7 રાતોનો પ્રવાસ કરાવશે. બૌદ્ધ સર્કિટ ટુરિસ્ટ ટ્રેન બોધગયા, નાલંદા, રાજગીર, સારનાથ, વારાણસી, લુંબિની, કુશીનગર, શ્રાવસ્તી અને આગ્રાની યાત્રા કરાવશે.
જાણો શું છે ફીચર્સ?
ADVERTISEMENT
આ ટ્રેનમાં 12 કોચ છે. તેમાં ચાર ફર્સ્ટ એસી કોચ છે, બે સેકન્ડ એસી, 2 ડાઇનિંગ કાર, બે પાવર કાર, એક પેન્ટ્રી કાર અને બે કોચ સ્ટાફ માટે હશે. કોચમાં લેધર ઇન્ટિરિયર્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, ટચલેસ ટેપ, બાયો વેક્યુમ ટોયલેટ, સોફા, એડજસ્ટેબલ રીડિંગ લાઈટ રહેશે. આ ટ્રેનને 6 મહિનામાં તૈયાર કરવામાં આવી છે.
સેકન્ડ એસી કોચમાં એક નાનકડી લાયબ્રેરી પણ આપવામાં આવી છે. આ ટ્રેનમાં બાયો ટોયલેટ આપવામાં આવી રહ્યા છે, સાથે જ ઇન્ટિરિયરને શ્રેષ્ઠતમ કલર સ્કીમની સાથે સજાવવામાં આવ્યું છએ. ટ્રેનમાં બે રેસ્ટોરન્ટ્સ એટલે કે ડાયનિંગ કાર આપવામાં આવી છે, જેમાં 64 લોકોના બેસવાની વ્યવસ્થા છે. બંને કારનો રંગ અલગ-અલગ છે. આ ઉપરાંત દરેક કોચમાં રીડિંગ લાઈટ છે. યાત્રીઓના સામાનની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ટ્રેનમાં સ્પેશિયલ ઇલેક્ટ્રોનિક લોકર્સ આપવામાં આવ્યા છે.
આ ટ્રેનમાં ગીઝરની સાથે શાવરવાળા બાથરૂમ છે. ફર્સ્ટ એસીનું ભાડું 12,080 રૂપિયા વ્યક્તિદીઠ જ્યારે સેકન્ડ એસીનું વ્યક્તિદીઠ ભાડું 9890 રૂપિયા છે.