જેટ એરવેઝની મુશ્કેલીઓ વધી : મેનેજમેન્ટ બદલશે તો જ બેન્કો મદદ કરશે
જેટ એરવેઝ (PC : Twitter)
છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલ જેટ એરવેઝના વિવાદમાં બેન્કોએ કંપની સામે શરતો મુકી છે. બેન્કોના કહેવા મુજબ જો શરતોનું પાલન થશે તો જ બેન્ક એરલાઇન્સને મદદ કરશે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી જેટ એરવેઝ આર્થિક સંકટનો સામનો કરી રહી છે. જેને પગલે બેન્કોએ મેનેજમેન્ટમાં ફેરફારની શરતો મૂકી છે. જેટ એરલાઈને SBI સહિતની બેન્કોને 8,052 કરોડ રૂપિયા ચૂકવવાના છે.
SBI ચેરમેને આ અંગે સરકાર સાથે કરી ચર્ચા
SBI ના ચેરમેન રજનીશ કુમાર બુધવારે આ કેસમાં નાણાં મંત્રી અરૂણ જેટલી, ઉડ્ડયન સચિવ પ્રદીપ સિંહ ખરોલા અને પ્રધાનમંત્રીના પ્રધાન સચિવ નૃપેન્દ્ર મિશ્રાને પણ મળ્યા હતા. સરકાર સાથેની મુલાકાત બાદ રજનીશ કુમારે કહ્યું કે બેન્ક જેટ એરવેઝને બચાવવા માટે શકય તેટલા તમામ પગલા ભરશે. કંપની પર દેવાળિયા કાયદા અંતર્ગત કાર્યવાહી કરવી તે અંતિમ વિકલ્પ હશે. તે બંધ થવાથી 23,000 લોકોની નોકરી જતી રહેશે.
પાયલોટે 1 એપ્રિલથી વિમાન ન ઉડાડવાની આપી ચેતવણી
રજનીશ કુમારે વધુમાં કહ્યું હતું કે હાલ કોઈ પણ શકયતાથી ઈન્કાર ન કરી શકાય. સૂત્રોના જણાવ્યા અનુસાર, બેન્કોનું માનવું છે કે જેટ એરલાઇન્સની અત્યારના મેનેજમેન્ટની સાથે કંપની ચલાવી શકય નથી. ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે પાયલાટ યુનિયને ચેતવણી આપી છે કે 31 માર્ચ સુધીમાં તેમની બાકીની સેલેરી ન મળી તો તે 1 એપ્રિલથી વિમાન ઉડાવવાનું બંધ કરી દેશે.
આ પણ વાંચો : જેટ ઍરવેઝ પાસે આજે ડિબેન્ચરધારકોને વ્યાજ ચૂકવવા પણ પૈસા નથી
એતહાદ એરવેઝ સાથે વાતચીત ચાલુ
રજનીશ કુમારે કહ્યું કે એતિહાદની સાથે વાતચીત ચાલું છે. તેમની કેટલીક શરતો છે. તે ઈચ્છે છે કે એરલાઈનને કોઈ પણ પ્રકારની દખલગીરી વગર પ્રોફેશનલ રીતે ચલાવવામાં આવે. જેટમાં એતિહાદનો 24 ટકા હિસ્સો છે.