રિષભ પંતે બીજાની ભૂલમાંથી શીખીને આગળ વધવું જોઈએ : લાન્સ ક્લુઝનર
લાન્સ ક્લુઝનર
ધરમશાલા (પી.ટી.આઇ.): ૧૯૯૯ના વર્લ્ડ કપમાં ‘પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ’નો અવૉર્ડ જીતનાર સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ ઑલરાઉન્ડર લાન્સ ક્લુઝનરનું માનવું છે કે રિષભ પંત બીજાની ભૂલમાંથી શીખીને આગળ વધશે તો ભવિષ્યમાં ભારત વતી નિરંતર રમતો રહેશે. વન-ડેમાં ૨૨.૯૦ અને ટી૨૦ ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ૨૧.૫૭ની ઍવરેજ તેની ટૅલન્ટને ન્યાય નથી આપતી.
સાઉથ આફ્રિકાના વાઇટ-બૉલ ક્રિકેટના બૅટિંગ-કોચ ક્લુઝનરે મીડિયાને કહ્યું હતું કે ‘હું ક્યારેક જ ટીકા કરતો હોઉં છું, પણ પંત જેવો શાનદાર ટૅલન્ટ ધરાવતો ક્રિકેટર સમય પહેલાં મૅચ્યોર થઈ રહ્યો છે. તેણે થોડો સમય આપવો જોઈએ. આ સમય દરમ્યાન તે પોતાની ટૅલન્ટ બતાવી શકશે. લોકો એમ માનતા હોય છે કે પ્લેયરે પોતાની ભૂલમાંથી શીખવું જોઈએ, પણ મારું માનવું છે કે પ્લેયરે બીજાની ભૂલમાંથી શીખવું જોઈએ, કારણ કે પ્લેયર પોતે ભૂલ કરે, તેને ભાન થાય, ભૂલ સુધારે અને એમાંથી શીખે એમાં ઘણો ટાઇમ જાય અને બીજામાંથી શીખે તો ઘણો સમય બચે. ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં બીજામાંથી શીખેલી ભૂલ પ્લેયરને હંમેશાં આગળ રાખે છે. પંતે ભારતના સિનિયર બૅટ્સમેનો અને ઉપલબ્ધ કોચ પાસેથી સલાહ લેવી જોઈએ પણ પોતાની નૅચરલ ટૅલન્ટને જાળવી રાખવી જોઈએ. હું, જૅક્સ કૅલિસ અને ઍન્ડ્ર્યુ ફ્લિન્ટોફ એક જ જનરેશનના ઑલરાઉન્ડર્સ છીએ અને કદાચ એવા છેલ્લા ઑલરાઉન્ડર્સનું સ્કિલ-લેવલ પ્યૉર છે. ટી૨૦ને કારણે તેમનું ફોકસ વાઇટ-બૉલ ક્રિકેટ પર વધારે હોય છે. પહેલાં ફોકસ ટેસ્ટ ક્રિકેટ પર વધારે હતું એથી બોલર દિવસની ૧૫ ઓવર ફેંકતા હતા. વધુ સમય સુધી બોલિંગ કે બૅટિંગ કરવાથી નૅચરલી પ્લેયરમાં ઇમ્પ્રૂવમેન્ટ આવે.’