ઑસ્ટ્રેલિયા સાથે પાંચ ટેસ્ટની સિરીઝ રમવી સંભવ નથી : ગાંગુલી
સૌરવ ગાંગુલી
ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે પાંચ ટેસ્ટ મૅચની સિરીઝ રમાવાની જે વાત કેટલાક સમય પહેલાં ચાલી રહી હતી એ કોરોનાને કારણે હવે અસંભવ લાગી રહી છે. ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રેસિડેન્ટ સૌરવ ગાંગુલીએ આ ધારણા વ્યક્ત કરી છે. નવેમ્બરમાં વિરાટસેના બૉર્ડર-ગાવસકર ટ્રોફી રમવા માટે બંધાયેલી છે જેને લીધે કાંગારૂઓ સાથે આ ટેસ્ટ મૅચ યોજવી અસંભવ લાગી રહી છે. આ વિશે ગાંગુલીએ કહ્યું કે ‘મને નથી લાગતું કે ભારત માટે પાંચ ટેસ્ટ મૅચ રમવી શક્ય બનશે. કેમ કે એ સમયે વન-ડે મૅચ પણ હશે અને ૧૪ દિવસ ક્વૉરન્ટીમાં પણ રહેવાનો પ્લેયરોને વારો આવશે. મને નથી લાગતું કે આ વખતે ઑસ્ટ્રેલિયા સાથે પાંચ ટેસ્ટ મૅચની સિરીઝ સંભવ હોય. જોકે અમારા અને ક્રિકેટ ઑસ્ટ્રેલિયાના સંબંધ સારા છે એટલે અમે વચલો કોઈ માર્ગ કાઢવાનો પ્રયાસ કરીશું. આ ટેસ્ટ સિરીઝ ૨૦૨૩ની નવી ટેસ્ટ મૅચની સિરીઝ પહેલાં થઈ જાય એવી અમને આશા છે.’
ઑસ્ટ્રેલિયાએ ગયા વર્ષે ભારત સાથે પાંચ ટેસ્ટ મૅચની સિરીઝ રમવાની ઇચ્છા વ્યકત કરી હતી.