સ્મિથ અને વૉર્નર સામે ભારતીય પેસરોને કોઈ પ્રૉબ્લેમ નહીં : ગંભીર
ગૌતમ ગંભીર
ગૌતમ ગંભીરનું કહેવું છે કે સ્મિથ અને ડેવિડ વૉર્નર આવવાથી ભારતીય ફાસ્ટ બોલરને કોઈ તકલીફ નહીં પડે. ગંભીરે હાલમાં ઑસ્ટ્રેલિયા અને ઇન્ડિયા વચ્ચેની સિરીઝ વિશે વાત કરી હતી. આ સાથે જ તેણે સૌરવ ગાંગુલી વિશે પણ ચર્ચા કરી હતી. ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કપ્તાન સૌરવ ગાંગુલી આઇસીસીના નવા ચૅરમૅનપદની રેસ માટે સંભવિત નામમાં મોખરે છે. જો ગાંગુલીની વરણી ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલમાં થઈ જાય તો દેશ માટે એ એક સારો સંકેત છે. છેલ્લા કેટલાક દિવસમાં ભારતીય ક્રિકેટ બોર્ડમાં પણ કેટલોક સત્તાપલટો કરવામાં આવ્યો છે. આ વિશે પોતાના વિચાર પ્રગટ કરતાં ગૌતમ ગંભીરે કહ્યું કે ‘મને નથી ખબર કે આ વિશે ગાંગુલી શું વિચારે છે, પણ આઇસીસીની મૅનેજમેન્ટ ટીમમાં જો કોઈ ભારતનું પ્રતિનિધિત્વ કરે તો દેશ માટે એ ઘણી સારી વાત છે. આઇસીસીમાં ભારત ડેમોક્રેટિક રિપ્રેઝન્ટેશન ધરાવવાની ક્ષમતા રાખે છે.’
આ ઉપરાંત વર્ષના અંતે ઑસ્ટ્રેલિયા સામે રમાનારી સિરીઝના સંદર્ભે ગૌતમ ગંભીરે પોતાના વિચારો પ્રગટ કર્યા હતા. ગંભીરે કહ્યું કે ‘ભારતના ફાસ્ટ બોલરો કોઈ પણ દેશના બૅટ્સમૅનને કોઈ પણ પરિસ્થિતિમાં ચૅલેન્જ આપી શકે છે. પાછલી સિરીઝ આપણે જીત્યા હતા અને આ વખતે પણ આપણે ત્યાં જઈ રહ્યા છીએ એટલે યજમાન માટે આ સિરીઝ ઘણી અઘરી રહેશે. જ્યાં સુધી ટી૨૦ વર્લ્ડ કપની વાત છે તો એ એક અઘરો નિર્ણય છે. મને ભરોસો છે કે આઇસીસી નજીકના સમયમાં દરેક પાસાંને ઉજાગર કરીને નિર્ણય લેશે.’