ભારત પાકિસ્તાનને ૧૦માંથી ૯ વખત હરાવશે : હરભજન સિંહ
હરભજન સિંહ
ભારત વતી ટેસ્ટમાં પહેલી હૅટ-ટ્રિક લેનાર ઑફ સ્પિનર હરભજન સિંહને લાગે છે કે પાકિસ્તાની ટીમની પાસે ૧૬ જૂનના રોજ ભારતને વર્લ્ડ કપની મૅચમાં હરાવવાનો કોઈ મોકો નથી, કારણ કે સરફરાઝ અહમદના નેતૃત્વવાળી હાલની ટીમમાં અનુભવની કમી છે.
ADVERTISEMENT
હરભજને એક પ્રોગ્રામમાં મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે ‘પાકિસ્તાનનું ફૉર્મ એટલું શાનદાર નથી અને તેમની પાસે એટલો અનુભવ પણ નથી. વીતેલા સમયની પાકિસ્તાની ટીમને હરાવવી ખૂબ જ મુશ્કેલ હતી, પરંતુ હાલની ટીમ ભારતની સામે ૧૦માંથી ૯ વખત હારી જશે. તેમની પાસે કોઈ મોકો જ નથી. પાકિસ્તાન સામે વર્લ્ડ કપ મૅચમાં ભારતીય ટીમ પર ખૂબ જ દબાણ હશે. જ્યારે બે મજબૂત ટીમોનો મુકાબલો થાય છે તો મજબૂત ટીમને હંમેશાં અસફળ થવાનો ડર હોય છે. પાકિસ્તાનની સામે હારવાનું નહીં એનું દબાણ ખૂબ જ વધુ હોય છે. હું જાણું છું કે પાકિસ્તાન સામે હાર્યા બાદ ભારતમાં શું થાય છે. લોકો બાકીની મૅચોને યાદ રાખતા નથી, પરંતુ પાકિસ્તાનની મૅચની દરેક પળ યાદ રહે છે. પાકિસ્તાન પાસે ગુમાવવા માટે કશું નથી. જો તેઓ ભારતની સામે જીત મેળવી લેશે તો એ તેમના માટે બોનસ હશે.