૨૦૦૪ પાકિસ્તાન ટૂર પર ધોનીને લઈ જવાની સૌરવ ગાંગુલીને ઇચ્છા હતીઃ રાઇટ
જ્હોન રાઇટ
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કોચ જ્હૉન રાઇટનું કહેવું છે કે ૨૦૦૪ની ઐતિહાસિક પાકિસ્તાન ટૂર માટે સૌરવ ગાંગુલી પોતાની ટીમમાં મહેન્દ્ર સિંહ ધોનીને લેવા માગતો હતો. એ સમયે બન્ને દેશો વચ્ચે રમાયેલી ટેસ્ટ-સિરીઝ ભારતે ૨-૧થી જ્યારે વન-ડે સિરીઝ ૩-૨થી જીતી હતી. ટેસ્ટ-સિરીઝ માટે પાર્થિવ પટેલને પસંદ કરવામાં આવ્યો હતો, જ્યારે વન-ડે માટે વિકેટકીપરની જવાબદારી રાહુલ દ્રવિડે સંભાળી હતી. રાઇટે કહ્યું કે ‘૨૦૦૪માં પાકિસ્તાન ટૂર વખતે ગાંગુલી પોતાની ટીમમાં ધોનીને લેવા માગતો હતો, પણ તે કદાચ એવો નિર્ણય હતો જે અમલમાં મૂકી ન શકાયો. તેમ છતાં, અમે એક સફળ ટીમ બનાવી શક્યા હતા. એ એવો સમય હતો જ્યારે નૅશનલ લેવલ પર ધોનીના નામની ચર્ચા થઈ રહી હતી. સૌરવે તેના વિશે ખૂબ જ સારી વાતો કહી હતી અને તે યુવા પ્લેયરોને ઘણો પ્રોત્સાહિત કરતો હતો, પણ તમને ખબર નથી હોતી કે ભવિષ્યમાં શું થવાનું છે. ધીમે-ધીમે ધોની સમજતો ગયો અને સારી કૅપ્ટન્સી નિભાવતા પણ શીખી ગયો. આજના મૉડર્ન સમયમાં બેસ્ટ કૅપ્ટનમાંનો તે એક છે. તેનો રેકૉર્ડ બધું કહી આપે છે.’