આઈસીસીની એલીટ પેનલમાં સમાવેશ થનાર યંગેસ્ટ નીતિન મેનન
નીતિન મેનન
૨૦૨૦-’૨૧ની સીઝન માટે એલીટ પૅનલમાં આઇસીસીએ અમ્પાયર નીતિન મેનનનો સમાવેશ કર્યો છે. ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ દ્વારા ૨૦૨૦-’૨૧ની સીઝન માટે રિવ્યુ અને સિલેક્શન પ્રોસેસ યોજવામાં આવી હતી, જેમાં યંગેસ્ટ નીતિન મેનનનો સમાવેશ થયો છે. ઇંગ્લૅન્ડના નાઇજેલ લૉન્ગની જગ્યાએ તેમનો સમાવેશ કરવામાં આવ્યો છે. શ્રીનિવાસ વેન્કટરાઘવન અને સુંદરમ રવિ બાદ તેઓ એલીટ પૅનલમાં સમાવેશ થનારા ઇન્ડિયાના ત્રીજા વ્યક્તિ છે. ૩૬ વર્ષના નીતિન મેનનને ત્રણ ટેસ્ટ, ૨૪ વન-ડે અને ૧૬ ટી૨૦નો અનુભવ છે. આ વિશે નીતિન મેનને કહ્યું કે ‘એલીટ પૅનલમાં મારા નામનો સમાવેશ થવો મારા માટે સન્માન અને ગર્વની વાત છે. દુનિયાભરના અમ્પાયર્સ અને રેફરી સાથે મારા નામનો સમાવેશ કરવો એ હું હંમેશાં ઇચ્છતો હતો અને આ ફીલિંગને ગ્રહણ કરવી સહેલી નથી. ટેસ્ટ, વન-ડે અને ટી૨૦ ઇવેન્ટ્સમાં મને પસંદ કરવામા આવતાં મારા પર ખૂબ મોટી જવાબદારી પણ આવી છે. હું આ ચૅલેન્જ માટે તૈયાર છું અને મને મળતી દરેક તકને હું ઝડપીશ. આ દ્વારા હું ઇન્ડિયન અમ્પાયર્સને પણ પ્રેરણા આપીશ અને મદદ કરીશ.’