ટીમ ઇન્ડિયાની વૉલ ૨.૦ પૂજારા ૩૩ વર્ષનો થયો
ચેતેશ્વર પુજારા
ઇન્ડિયન ટેસ્ટ ટીમના દિગ્ગજ પ્લેયર ચેતેશ્વર પુજારાએ ગઈ કાલે પોતાનો ૩૩મો જન્મદિવસ ઊજવ્યો હતો. આ અવસરે ક્રિકેટજગતે તેને મન ભરીને શુભેચ્છા આપી હતી. આ વર્ષની બોર્ડર-ગાવસકર ટ્રોફીમાં પુજારાએ કુલ ૯૨૮ બૉલનો સામનો કર્યો હતો અને એમાં ૩૩.૮૮ની ઍવરેજથી ૨૯ ચોગ્ગા ફટકારી ૨૭૧ રન બનાવ્યા હતા. એ દરમ્યાન તેને અંદાજે ૧૧ વખત વિરોધી ટીમના બૉલ પોતાના શરીર પર લાગ્યા હતા.
પુજારાને બર્થ-ડે વિશ કરતાં કૅપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે ‘હૅપી બર્થડે પુજી. તારા સ્વસ્થ જીવન અને ખુશીઓ તેમ જ તું વધારે સમય ક્રીઝ પર પસાર કરે એવી કામના કરું છું. આ વર્ષ તારા માટે સારું રહે એવી શુભેચ્છા.’
ADVERTISEMENT
કોહલીની ગેરહાજરીમાં ઑસ્ટ્રેલિયાની ટૂર પર ટીમ ઇન્ડિયાની કમાન સંભાળનાર કૅપ્ટન અજિંક્ય રહાણેએ કહ્યું કે ‘તે સહેલાઈથી કલાકો સુધી ક્રિકેટ રમી શકે છે અને હું ઓળખું છું એમાંનો તે એક સ્ટ્રૉન્ગ માણસ છે. હૅપી બર્થ-ડે પુજી.’
પુજારાની કારકિર્દીના આંકડા આપીને તેને જન્મદિવસની શુભેચ્છા આપતાં ભારતીય ક્રિકેટ બોર્ડે કહ્યું કે તેનું શરીર સતત ગતિશીલ હોય છે. વચ્ચે તે ઘણો પિસાઈ જતો હોય છે છતાં અડીખમ રહે છે. ૮૧ ટેસ્ટ, ૬૧૧૧ રન, ૧૩,૫૭૨ બૉલનો સામનો કરનાર અને ૧૮ સેન્ચુરી ફટકારનાર ટીમ ઇન્ડિયના મિસ્ટર ડિપેન્ડેબલ ચેતેશ્વર પુજારાને જન્મદિવસની ખૂબ-ખૂબ શુભેચ્છા.’
આ ઉપરાંત પુજારાને ‘ટીમ ઇન્ડિયાની વૉલ ૨.૦’ તરીકે સંબોધીને ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલે પણ જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.