જપાનમાં યોજાનારી ૨૦મી એશિયન ગેમ્સ માટે ભારતે ૫૦૩ ખેલાડીઓ અને ૨૪૬ સપોર્ટ-સ્ટાફ સહિત કુલ ૭૬૮ સભ્યોની ટીમને મંજૂરી આપી છે. ઍથ્લેટિક્સ ટીમમાં સૌથી વધુ ૭૭ સભ્યો હશે.
યશવીર સિંહ
રમતગમત મંત્રાલયે જપાનના આઇચી-નાગોયામાં ૧૯ સપ્ટેમ્બરથી ૪ ઑક્ટોબર દરમ્યાન રમાનારી વીસમા એશિયન ગેમ્સ માટે મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી છે. ૩૬ રમતોમાં ભાગ લેનારા ૫૦૩ ખેલાડીઓ માટે ૨૪૬ અધિકારીઓ અને સપોર્ટ-સ્ટાફની ટીમને મંજૂરી આપવામાં આવી છે.
રમતગમત મંત્રાલયે શરૂઆતમાં ગેમ્સ માટે ૪૯૨ ખેલાડીઓને મંજૂરી આપી હતી, પરંતુ અપેક્ષા મુજબ ખાસ કરીને ઍથ્લેટિક્સ અને સર્ફિંગ ટીમમાં થોડાં વધુ નામ ઉમેરવામાં આવ્યાં છે. એશિયન ગેમ્સ માટે ભારતથી ૫૦૩ ખેલાડીઓ અને ૨૪૬ સપોર્ટ-સ્ટાફ સહિત કુલ ૭૬૮ જણની ટીમ જપાન જશે.
સૌથી વધુ ૭૭ સભ્યો ધરાવતી ઍથ્લેટિક્સની ટીમ માટે સૌથી મોટો ૩૧ સભ્યોનો સપોર્ટ-સ્ટાફ જશે. આમાં રાષ્ટ્રીય કોચ પી. રાધાકૃષ્ણનના નેતૃત્વમાં ૨૦ કોચનો સમાવેશ થાય છે.
સપોર્ટ-સ્ટાફમાં કોચ સિવાય ડૉક્ટરો, ફિઝિયોથેરપિસ્ટ, માલિશ કરનારાઓ પણ સમાવેશ થાય છે. આ વખતે ૨૪૬ સભ્યોની સપોર્ટ-સ્ટાફ ટીમમાં ફક્ત ૫૬ મહિલાઓ છે જે કુલ ટીમના લગભગ બાવીસ ટકા છે.
ભારત માટે જૅવલિન થ્રોમાં નીરજને બદલે યશવીર ભાગ લેશે
ADVERTISEMENT
કૉમનવેલ્થ ગેમ્સના બ્રૉન્ઝ મેડલ વિજેતા જૅવલિન થ્રોઅર યશવીર સિંહને ભારતીય ઍથ્લેટિક્સ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે જે ઘાયલ સ્ટાર ખેલાડી નીરજ ચોપડાનું સ્થાન લેશે. હરિયાણાના ૨૪ વર્ષના યશવીર સિંહે કરીઅરમાં ૮૫.૪૧ મીટરનો બેસ્ટ થ્રો ફેંક્યો છે.
