કમબૅક વિશે પૂછતાં મહેન્દ્ર સિંહ ધોનીએ કહ્યું, જાન્યુઆરી સુધી કંઈ ન પૂછો
સુનો જી... : મુંબઈમાં યોજાયેલી એક ઇવેન્ટમાં ફોટોગ્રાફર્સ સાથે વાત કરતો મહેન્દ્ર સિંહ ધોની. તસવીર : અતુલ કાંબળે
વર્લ્ડ કપ ૨૦૧૯માં સેમી ફાઇનલમાં હારીને બહાર થયા બાદ ભારતીય ટીમનો સિનિયર પ્લેયર મહેન્દ્ર સિંહ ધોની ક્રિકેટથી અંતર બનાવી રહ્યો છે. જોકે આ વિશે તેને થોડા સમય સુધી કોઈ સવાલ ન પૂછવામાં આવે એવું તેણે કહ્યું હતું. મુંબઈમાં યોજાયેલી એક ઇવેન્ટમાં તેને રિટાયરમેન્ટ કે કમબૅક એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેણે સ્પષ્ટપણે કહી દીધું કે જાન્યુઆરી સુધી કંઈ ન પૂછો.
રવિ શાસ્ત્રીએ કહ્યું હતું કે ધોની આગળ રમશે કે રિટાયરમેન્ટ લેશે એ નિર્ણય આવતા વર્ષે રમાનારી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) બાદ જોવાશે. ધોનીએ ક્રિકેટથી બનાવી રાખેલા અંતરને લીધે તે વેસ્ટ ઇન્ડીઝ, સાઉથ આફ્રિકા અને બંગલા દેશ સામેની સિરીઝ રમ્યો નહોતો. જોકે હવે ઇન્ડિયન ટીમ વેસ્ટ ઇન્ડીઝ ટીમ સાથે ત્રણ ટી૨૦ અને ત્રણ વન-ડે મૅચની સિરીઝ રમશે. સામા પક્ષે સિલેક્શન કમિટીના ચૅરમૅન એમ.એસ.કે. પ્રસાદે પણ ધોનીના પર્યાયરૂપે તૈયાર થઈ રહેલા રિષભ પંતને કેન્દ્રસ્થાને રાખીને આગળ વધવાની વાત કહી હતી જેથી કરીને ૨૦૨૦માં થનારા ટી૨૦ વર્લ્ડ કપમાં ભારત સારું પર્ફોર્મ કરી શકે.
ADVERTISEMENT
પત્ની ખુશ તો હું ખુશ : ધોની
કૅપ્ટન કૂલ તરીકે જાણીતા ભારતીય ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીનું કહેવું છે કે તેની પત્ની ખુશ તો તે પોતે પણ ખુશ હોય છે. તાજેતરમાં ચેન્નઈમાં થયેલા એક ઇવેન્ટમાં પોતાના વ્યક્તિગત જીવનમાં પતિ તરીકેની લાગણીને તેણે સારી રીતે વર્ણવી હતી. આ વિશે વાત કરતાં ધોનીએ કહ્યું હતું કે ‘લગ્ન પહેલાં બધા પુરુષ વાઘ હોય છે. લગ્નનો અર્થ ત્યારે સમજમાં આવે છે જ્યારે તમે પંચાવનની ઉંમર વટાવો છો. મારી પત્નીને જે કરવું છે એ કરવાની હું તેને છૂટ આપું છું કેમ કે જો મારી પત્ની ખુશ હશે તો હું પણ ખુશ હોઈશ.’