શ્રીલંકાના દિગ્ગજ બૅટર્સના મતે કોહલીએ ફૉર્મ મેળવ્યું એ વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયા માટે મોટી રાહત
જાડેજાની ગેરહાજરી ભારત માટે મોટો ઝાટકો : જયવર્દને
શ્રીલંકાના દિગ્ગજ બૅટ્સમૅન માહેલા જયવર્દનેના મતે ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા ઈજાગ્રસ્ત થતાં ટી૨૦ વર્લ્ડ કપમાં ભારત માટે એક મોટો ઝાટકો છે, જ્યારે વિરાટ કોહલીની ફૉર્મમાં વાપસી ભારત માટે એક સકારાત્મક સંકેત છે. જાડેજાએ એક સપ્તાહ પહેલાં ઘૂંટણનું ઑપરેશન કરાવ્યું હતું. જાડેજા પોતાની તબિયતમાં થતા સુધારાની જાણકારી સોશ્યલ મીડિયા પર મેસેજ આપીને કરતો રહે છે.
૩૩ વર્ષનો જાડેજા ઈજાને કારણે ૨૦૨૨ એશિયા કપમાં નહીં રમી શકે. ઈજાને કારણે જ તે જુલાઈમાં વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસે જઈ શક્યો નહોતો. જયવર્દનેએ શનિવારે આઇસીસી રિવ્યુમાં કહ્યું હતું કે ‘ભારત માટે આ એક પડકારજનક પરિસ્થિતિ છે. જાડેજા નંબર પાંચની પોતાની ભૂમિકામાં સંપૂર્ણપણે ફિટ થઈ ગયો હતો. તે સારી બૅટિંગ પણ કરી રહ્યો હતો. તે અને હાર્દિક પંડ્યા ટૉપ સિક્સ તરીકે ભારતને ઑલરાઉન્ડરનો વિકલ્પ આપી રહ્યા હતા, સાથોસાથ બૅટિંગમાં પણ ભારતને મજબૂત સ્થિતિમાં લાવી રહ્યા હતા.
શ્રીલંકાના ભૂતપૂર્વ બૅટર્સે કહ્યું કે જાડેજાની ગેરહાજરી ભારત માટે વર્લ્ડ કપમાં એક મોટો ઝાટકો છે. એક લેફ્ટી બૅટર ન હોવો ચિંતાની વાત છે. એને લીધે ટીમ મૅનેજમેન્ટે દિનેશ કાર્તિકને બદલે આ ભૂમિકા માટે રિષભ પંતને લાવવો પડ્યો હતો. વર્લ્ડ કપમાં જતાં પહેલાં ભારતે આ બધી બાબતોને ઠીક કરી લેવી પડશે. જોકે જાડેજાનું ન હોવું એક મોટા ઝાટકા સમાન છે. તાજેતરમાં આઇપીએલની ટીમ મુંબઈ ઇન્ડિયન્સે જયવર્દનેને પોતાના કોચપદેથી હટાવીને મુંબઈ ઇન્ડિયન્સના ગ્લોબલ હેડ ઑફ પર્ફોર્મન્સ નિયુક્ત કર્યા હતા. જયવર્દનેએ કહ્યું કે જાડેજાની ગેરહાજરી છતાં ભારત આ વાતથી પોતાનું મનોબળ મજબૂત કરી શકે છે કે એના સ્ટાર બૅટર વિરાટ કોહલીએ ફૉર્મ પાછું મેળવ્યું છે. કોહલીએ પોતાના સદીના દુકાળને સમાપ્ત કરતાં ૧૦૨૦ દિવસ બાદ પોતાની ૭૧મી સેન્ચુરી ફટકારી હતી. વળી બુમરાહની વાપસી પણ ભારત માટે સારો સંદેશ છે. તે નવા બૉલથી તેમ જ છેલ્લે ઘણો અસરકારક સાબિત થાય છે. તે ઑસ્ટ્રેલિયામાં સારું પ્રદર્શન કરશે.