યુવા પ્લેયરો માટે સુવર્ણ તક
સિનિયર ખેલાડીઓની ગેરહાજરીમાં જુનિયરોને મળેલા મોકાને બન્ને હાથે ઝડપી લેવાનો ચાન્સ : નવા નિયમોને કારણે ટીમોએ પોતાની રણનીતિ બદલવી પડશે
જોકે સચિન તેન્ડુલકર, વીરેન્દર સેહવાગ, યુવરાજ સિંહ અને ઝહીર ખાન જેવા સિનિયર ખેલાડીઓની ગેરહાજરીમાં યુવાન ખેલાડીઓ કેવું પફોર્ર્મ કરે છે એ મહત્વનો મુદ્દો છે. તો બીજી તરફ ઇંગ્લૅન્ડ તેનો સૉલિડ પરર્ફોમન્સ જારી રાખવા અને ટેસ્ટ બાદ વન-ડેમાં પણ નંબર વન થવાના તેમના ટાર્ગેટ તરફ આગળ વધવા કટિબદ્ધ છે.
જોકે ટીમ ઇન્ડિયાના કૅપ્ટન કૂલ મહેન્દ્ર ધોનીને ખાતરી છે કે ટીમ ઘરઆંગણાનો ભરપૂર ફાયદો ઉઠાવશે અને યુવા ખેલાડીઓ તેમની ક્ષમતા પુરવાર કરશે.
યુવાનો પોતાની તાકાત બતાવશે
ધોનીએ કહ્યું હતું કે ‘સિરીઝમાં સિનિયર ખેલાડીઓની કમી જરૂર વર્તાશે, પણ જુનિયર ખેલાડીઓને મૅનેજ કરવા મુશ્કેલ નથી. આ તેમને માટે સુવર્ણ તક છે અને અમારા માટે વિજયી શરૂઆત કરવી જરૂરી છે.’
ઇંગ્લૅન્ડની હારને ભૂલી ગયા છીએ
ધોનીએ કહ્યું હતું કે ‘ઇંગ્લૅન્ડમાં સિરીઝની નામોશીભરી હાર અમે ભૂલી ગયા છીએ. યુવાન ખેલાડીઓ પર પણ એની કોઈ જ અસર નહીં હોય. જોકે અમુક યુવા ખેલાડીઓએ ઇંગ્લૅન્ડમાં સારું પફોર્ર્મ કર્યું હતું. બીજું, અહીંની વિકેટ અને કન્ડિશન ઇંગ્લૅન્ડ કરતાં જુદી હશે. અમારે માટે બોલિંગ, બૅટિંગ અને ફીલ્ડિંગ ત્રણેય ડિપાર્ટમેન્ટમાં સારું પફોર્ર્મ કરવું પડશે.
નવા નિયમો પેચીદા છે
આ જ સિરીઝથી વન-ડેમાં નવા નિયમોનો અમલ શરૂ થવાનો છે. એ વિશે ધોનીએ કહ્યું હતું કે ‘આ નિયમો જરા પેચીદા છે. બોલિંગમાં બન્ને સાઇડથી નવો બૉલ વાપરવાથી રિવર્સ સ્વિંગ મેળવવા મુશ્કેલ થશે, કેમ કે બૉલ ૨૫ ઓવર કરતાં વધુ જૂનો નહીં થાય. હવે રિવર્સ સ્વિંગ બૉલ અને આઉટફીલ્ડના સ્તર પર જ નર્ભિર રહેશે. ઉપરાંત બૅટિંગ પાવરપ્લે પણ હવે ૧૬થી ૪૦ ઓવરમાં લઈ લેવો પડશે. પહેલાં ચેઝ કરનાર ટીમ બૅટિંગ પાવરપ્લે છેલ્લી પાંચ ઓવરમાં લેવાનું પંસદ કરતી હતી. આમ હવે અમારે નવી રણનીતિ બનાવવી પડશે.’
ભજીની ગેરહાજરી અશ્વિન માટે તક
ધોનીએ કહ્યું હતું કે ‘હરભજન સિંહની ગેરહાજરીને લીધે રવિચન્દ્રન અશ્વિન પર કોઈ દબાણ નહીં હોય,. જોકે તેને પોતાને પુરવાર કરવાનો એક મોકો છે.’
વન-ડેમાં આજથી નવા નિયમો
ADVERTISEMENT
- વન-ડેની બન્ને ઇનિંગ્સ માટે બે-બે નવા બૉલ આપવામાં આવશે. બન્ને ઇનિંગ્સમાં વિકેટના બન્ને છેડા માટે અલગ બૉલ રાખવામાં આવશે અને બોલરોએ એનાથી જ બોલિંગ કરવી પડશે.
- કોઈ પણ ફૉર્મેટની ક્રિકેટમાં બૅટ્સમૅનને રનર રાખવાની છૂટ નહીં મળે.
- જો બૅટ્સમૅન રન દોડતી વખતે જાણીજોઈને કોઈ ફીલ્ડર માટે અવરોધરૂપ બનશે તો અમ્પાયર એ બૅટ્સમૅનને આઉટ આપી શકશે.
- બૅટિંગ અને બોલિંગ પાવરપ્લેની પાંચ-પાંચ ઓવરો ૧૬થી ૪૦ નંબરની ઓવર વચ્ચે લેવી પડશે. ૧૬મી ઓવર પહેલાં કે ૪૦મી ઓવર પછી આવા પાવરપ્લેની ઓવરો નહીં લઈ શકાય.