અમારી પરમિશન વિના વડા પ્રધાને કેમ મળ્યા? જવાબ આપો
મિસ્બાહ-ઉલ-હક
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અથવા પાકિસ્તાન પ્લેયર્સ માટે વિવાદ કોઈ નવી વાત નથી. મેદાન પરના પર્ફોર્મન્સ કરતાં મેદાન બહારના વિવાદને લીધે તેઓ વધારે ચર્ચામાં રહે છે. ટેસ્ટ ટીમનો કૅપ્ટન અઝહર અલી અને કોચ મિસ્બાહ-ઉલ-હક પર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આજકાલ ભારે નારાજ છે. આ નારાજગી ઇંગ્લૅન્ડ સિરીઝમાં મળેલા પરાજય બદલ નહીં, પણ દેશના વડા પ્રધાન ઇમરાન ખાનને મળવા બદલ છે. ઇમરાન ખાન ભૂતપૂર્વ ક્રિકેટર અને વર્લ્ડ કપ વિજેતા કૅપ્ટન છે. વાત એમ છે કે થોડા દિવસ પહેલાં અહઝર અને મિસ્બાહ વડા પ્રધાન ઇમરાન ખાનને મળવા ગયા હતા. તેમની સાથે સિનિયર ખેલાડી મોહમ્મદ હાફિઝ પણ ગયો હતો. તેઓ દેશમાં ક્રિકેટના વિકાસ માટે ચર્ચા કરવા ગયા હતા. પાકિસ્તાન ક્રિકેડ બોર્ડને આની જાણ થતાં એ નારાજ થયું હતું અને પરમિશન વગર તેઓ વડા પ્રધાનને મળવા શા માટે ગયા હતા એ માટે તેમને ‘કારણ બતાવો નોટિસ’ મોકલી હતી. ક્રિકેટ બોર્ડનું કહેવું છે કે તેમણે ક્રિકેટને લગતી કોઈ બાબતે દેશના વડા પ્રધાન સાથે ચર્ચા કરવી હતી એ બાબત પહેલાં અમને જણાવવી જોઈતી હતી.