બીજી ટેસ્ટમાં અશ્વિન રમવાનો હતો, પણ વરસાદને લીધે ટીમે ગેમ-પ્લાન ચેન્જ કરવો પડ્યો હતો
રવિચન્દ્રન અશ્વિન
ઇંગ્લૅન્ડ સામે ૨૫ ઑગસ્ટથી શરૂ થઈ રહેલી ત્રીજી ટેસ્ટ મૅચમાં ભારતીય ટીમમાં આખરે રવિચન્દ્રન અશ્વિન રમતો જોવા મળી શકે છે. પહેલી બે ટેસ્ટમાં ભારતીય ટીમે ચાર પેસ બોલરો અને સ્પિનર તરીકે ઑલરાઉન્ડ રવીન્દ્ર જાડેજાને પસંદ કર્યો હતો. બીજી ટેસ્ટમાં અશ્વિન રમવાનો હતો, પણ વરસાદને લીધે ટીમે ગેમ-પ્લાન ચેન્જ કરવો પડ્યો હતો. હવે ત્રીજી ટેસ્ટમાં ભારતીય ટીમ અશ્વિનનો સમાવેશ કરવાની તૈયારી કરી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે. જોકે આને માટે તેણે જાડેજા અથવા તો એક પેસ બોલરમાં ઇશાન્ત શર્માને ટીમમાંથી બહાર કરવો પડશે. જાડેજા બે ટેસ્ટમાં એક પણ વિકેટ નથી લઈ શક્યો, પણ તેણે બૅટ વડે ઉપયોગી ૯૯ રન ફટકારીને તેની ઉપયોગિતા સાબિત કરી આપી છે. ઇશાન્તે પણ બીજી ટેસ્ટમાં પાંચ વિકેટ લીધી છે. આથી ટીમ મૅનેજમેન્ટ છેલ્લી ઘડીએ હવામાન જોઈને કોઈ આખરી નિર્ણય લેશે.
બીજી તરફ ઇન્જરીને લીધે બીજી ટેસ્ટ ન રમી શકનાર શાર્દુલ ઠાકુર પણ ફિટ થઈ ગયો છે.