સાઇલોસાઇબિન મશરૂમમાં ખાસ પ્રકારનાં સાઇકોઍક્ટિવ કેમિકલ્સ હોય છે જે હાલમાં ડિપ્રેશન, ઍન્ગ્ઝાયટી, પોસ્ટ ટ્રૉમેટિક સ્ટ્રેસ ડિસઑર્ડર કે પછી ઍડિક્શન છોડાવવાના કામોમાં માઇલ્ડ માત્રામાં વાપરવામાં આવે છે
૮૦ વર્ષનાં એક માજી સાથે મશરૂમના પ્રયોગે ચમત્કાર સરજ્યો હતો
ઑલ્ઝાઇમર્સ એક એવો રોગ છે જેમાં ધીમે-ધીમે યાદશક્તિ સતત ક્ષીણ થતી જાય છે અને ફરીથી યાદશક્તિ પાછી આવે એવી કોઈ સંભાવનાઓ હજી સુધી શક્ય નથી બની. જોકે અમેરિકાના એક પ્રયોગમાં ૮૦ વર્ષનાં એક માજી સાથે મશરૂમના પ્રયોગે ચમત્કાર સરજ્યો હતો. આ માજી ઍડ્વાન્સ્ડ ઑલ્ઝાઇમર્સથી પીડિત હતાં અને તેમને પોતે કોણ હતાં અને જુવાનીમાં શું કરતાં હતાં એ પણ યાદ નહોતું. તેઓ બોલવાનું અને વાતો કરવાનું પણ ભૂલી ગયાં હતાં. અમેરિકન વૈજ્ઞાનિકોએ કરેલા એક પ્રયોગમાં પાંચ ગ્રામ જેટલાં સાઇલોસાઇબિન નામનાં મશરૂમ ખાવા આપવામાં આવ્યાં. વૈજ્ઞાનિકોને હતું કે આ મશરૂમથી કંઈ ઇન્સ્ટન્ટ અસર નહીં થાય, પરંતુ લૉન્ગ ટર્મમાં કંઈક અસર જરૂર થશે. જોકે થયું એનાથી વિપરીત. મશરૂમ ખાધાં પછી આ માજી પહેલાં કરતાં વધુ સ્પષ્ટતાથી વાતો કરવાં લાગ્યાં. આખાં વાક્યો પણ તેઓ બોલી શકતાં હતાં એટલું જ નહીં, જૂની અને તેમને ઘણા સમયથી યાદ કરાવવા છતાં યાદ ન આવતી વાતો પણ આપમેળે કરવા લાગ્યાં હતાં. જોકે આ અસર બહુ ઝાઝી ટકી નહીં. થોડા જ કલાકોમાં તેઓ પાછાં રાબેતા મુજબ સૂનમૂન થઈને બધું ભૂલી ગયાં હોય એવાં થઈ ગયાં હતાં.
સાઇલોસાઇબિન મશરૂમમાં ખાસ પ્રકારનાં સાઇકોઍક્ટિવ કેમિકલ્સ હોય છે જે હાલમાં ડિપ્રેશન, ઍન્ગ્ઝાયટી, પોસ્ટ ટ્રૉમેટિક સ્ટ્રેસ ડિસઑર્ડર કે પછી ઍડિક્શન છોડાવવાના કામોમાં માઇલ્ડ માત્રામાં વાપરવામાં આવે છે. એની માણસના મગજ પર લાંબા ગાળાની અસર વિશે હજી અભ્યાસ થઈ રહ્યો છે. ૮૦ વર્ષનાં માજીની યાદશક્તિ પાછી આવી એવું કદાચ ઑલ્ઝાઇમર્સના દરેક દરદીમાં સંભવ નથી એવું નિષ્ણાતોનું કહેવું છે.
