દુનિયાભરમાંથી કર્મચારીઓની છટણીના ભાગરૂપે ગયા અઠવાડિયે ઍમેઝૉને ઇન્ડિયામાં એના કર્મચારીઓને વૉલન્ટરી સેપરેશન પ્રોગ્રામ ઑફર કર્યો હતો
તસવીર સૌજન્ય મિડ-ડે
નવી દિલ્હી : કેન્દ્રીય લેબર મંત્રાલયે ઍમેઝૉન ઇન્ડિયાને વૉલન્ટરી સેપરેશન પ્રોગ્રામના સંબંધમાં મંગળવારે નોટિસ મોકલી હતી. દુનિયાભરમાંથી કર્મચારીઓની છટણીના ભાગરૂપે ગયા અઠવાડિયે ઍમેઝૉને ઇન્ડિયામાં એના કર્મચારીઓને વૉલન્ટરી સેપરેશન પ્રોગ્રામ ઑફર કર્યો હતો, જે હેઠળ સ્વૈચ્છાએ રાજીનામું આપનારાને અમુક રકમ ઑફર કરાઈ છે. મંત્રાલયે નાસેન્ટ ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી એમ્પ્લૉઈઝ સેનેટ (નીટ્સ)ની ફરિયાદ પર આ ઑનલાઇન રીટેલરને સમન્સ બજાવ્યા હતા. નીટ્સે એક લેટરમાં આરોપ મૂક્યો હતો કે ઍમેઝૉન ઇન્ડિયા દ્વારા કરવામાં આવેલી છટણી અનૈતિક અને ગેરકાયદે છે.
નીટ્સના અધ્યક્ષ હરપ્રીત સિંહ સલુજાએ કહ્યું હતું કે ‘તાજેતરમાં અમને ઍમેઝૉનના કર્મચારીઓ તરફથી ફરિયાદો મળી હતી કે તેમને તેમની નોકરી છોડવા માટે દબાણ કરવામાં આવે છે. કંપનીએ વિસ્તૃત વૉલન્ટરી સેપરેશન પ્રોગ્રામ પણ મોકલ્યો છે.’