અપરાધભાવને પગલે વર્ષો પછી પાછા આવીને પોલીસમાં ફરિયાદ નોંધાવી : કર્ણાટકના યાત્રાધામ ધર્મસ્થલાના ભૂતપૂર્વ સફાઈ-કર્મચારીના દાવાથી મચી ગયો છે ખળભળાટ
ગુમનામ ફરિયાદીની ઓળખ છતી ન થાય એટલા માટે તેને સંપૂર્ણપણે ઢાંકીને કોર્ટમાં લાવવામાં આવ્યો હતો અને એ વખતે લોકોનાં ટોળાં ભેગાં થયાં હતાં.
કર્ણાટકના લોકપ્રિય યાત્રાધામ ધર્મસ્થલામાં ૧૯૯૫થી ૨૦૧૪ સુધી મંદિરના પગારદાર તરીકે કામ કરતા એક ભૂતપૂર્વ સફાઈ-કર્મચારીએ પોલીસ સમક્ષ દાવો કર્યો હતો કે તેણે અત્યંત પ્રભાવશાળી લોકોના દબાણ હેઠળ બળાત્કાર અને હત્યાનો ભોગ બનેલી સેંકડો મહિલાઓના મૃતદેહોને દફનાવ્યા હતા અથવા બાળી નાખ્યા હતા. કેટલાક ગુનેગારો મંદિરના વહીવટ સાથે જોડાયેલા હતા. આ કર્મચારીએ ૧૧ જુલાઈએ કોર્ટમાં ઉપસ્થિત રહીને નિવેદન આપ્યું છે અને તેના જીવને જોખમ હોવાથી તેને પોલીસ-પ્રોટેક્શન આપવામાં આવ્યું છે.
પોલીસને ૩ જૂને આપેલી ફરિયાદમાં આ ભૂતપૂર્વ સફાઈ-કર્મચારીએ દાવો કર્યો હતો કે ઘણી સ્ત્રીઓના શરીર પર કપડાં નહોતાં અથવા તેમના શરીર પર અન્ડરગાર્મેન્ટ્સ નહોતાં. કેટલાકમાં જાતીય હુમલા અને હિંસાનાં સ્પષ્ટ નિશાન દેખાતાં હતાં. તેમની કોઈ વસ્તુનો ઘા કરીને અથવા ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. સ્ટુડન્ટ્સ સહિત ૧૦૦થી વધુ મહિલાઓ પર બળાત્કાર કરવામાં આવ્યા બાદ તેમની હત્યા કરવામાં આવી હતી અને આવા મૃતદેહોને દફનાવવા માટે તેને ફરજ પાડવામાં આવી હતી. મોટા ભાગના મૃતદેહોની દફનવિધિ પવિત્ર નેત્રાવતી નદીના કિનારે કરવામાં આવી હતી. તેણે આરોપ લગાવ્યો હતો કે મૃતદેહો અજાણ્યા રહે અને નરમ, ભીની માટીમાં ઝડપથી વિઘટિત થાય એની ખાતરી કરવા માટે આ સ્થાનો પસંદ કરવામાં આવ્યાં હતાં.
ADVERTISEMENT
કોર્ટમાં થયો હાજર
નામ ન આપવાની વિનંતી કરનારા આ ભૂતપૂર્વ સફાઈ-કર્મચારીને ભારે પોલીસ-સુરક્ષા હેઠળ ૧૧ જુલાઈએ કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. તેના શરીરને માથાથી પગ સુધી ઢાંકવામાં આવ્યું હતું અને આંખો પર ફક્ત પારદર્શક પટ્ટી લગાવી હતી જેથી તેની ઓળખ છુપાયેલી જ રહે.
ધર્મસ્થલા શહેરના મધ્યમાં આવેલું હિન્દુ ભગવાન શ્રી મંજુનાથનું મંદિર એક પ્રભાવશાળી જૈન પરિવાર દ્વારા સંચાલિત છે. આ કર્ણાટકમાં એક મહત્ત્વપૂર્ણ યાત્રાધામ છે જે રાજ્ય બહારના શ્રદ્ધાળુઓને આકર્ષે છે.

ફરિયાદી વર્ષો સુધી આ યાત્રાધામ ધર્મસ્થલામાં સફાઈ-કર્મચારી તરીકે કામ કરતો હતો.
SITની માગણી
૨૦૧૨ના એક બળાત્કાર-હત્યાના કેસમાં અગાઉ ધર્મસ્થલા મંદિર પર તવાઈ આવી હતી, પણ ભૂતપૂર્વ સફાઈ-કર્મચારીએ કરેલા ખુલાસાઓથી સંપૂર્ણ તપાસની તાત્કાલિક માગણીઓ ફરી જાગી છે. આ કેસમાં તપાસ માટે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની માગણી તીવ્ર બની છે, જેમાં બે વરિષ્ઠ વકીલો ઔપચારિક રીતે નિષ્પક્ષ, સ્વતંત્ર તપાસ માટે અપીલમાં જોડાયા છે.
અનન્યા ભટના પરિવારની માગણી
૨૦૦૩માં ધર્મસ્થલાની કૉલેજ-ટ્રિપ દરમ્યાન ગુમ થયેલી MBBSની પ્રથમ વર્ષની સ્ટુડન્ટ અનન્યા ભટના પરિવારે ફરી એક વાર આ કેસમાં તપાસની માગણી કરી છે. અનન્યાની ૬૦ વર્ષની માતા સુજાતા CBIમાં ભૂતપૂર્વ સ્ટેનોગ્રાફર હતી, તેણે ૧૫ જુલાઈએ ધર્મસ્થલા પોલીસ-સ્ટેશનમાં નવી ફરિયાદ નોંધાવી હતી.
સ્કૂલ-યુનિફૉર્મમાં મૃતદેહ દફનાવ્યો
આ કર્મચારીએ જણાવ્યું હતું કે ૨૦૧૦માં તેને ૧૨થી ૧૫ વર્ષની એક સ્કૂલ-ગર્લને દફનાવવાની ફરજ પાડવામાં આવી હતી. આ છોકરીએ સ્કૂલ-યુનિફૉર્મ પહેર્યો હતો, તેનું સ્કર્ટ અને અન્ડરગાર્મેન્ટ્સ ગાયબ હતાં. તેના પર જાતીય હુમલો થયાનાં અને ગળું દબાવવાનાં નિશાન દેખાતાં હતાં. બીજી એક ઘટનામાં ૨૦ વર્ષની મહિલાનો ચહેરો ઍસિડથી સળગાવી દેવામાં આવ્યો હતો. તેના શરીરને ન્યુઝપેપરમાં લપેટવામાં આવ્યું હતું અને તેને ડીઝલથી બાળી નાખવાની સૂચના આપવામાં આવી હતી.
શરીરના ટુકડા કરી નાખવાની ધમકી
આ કર્મચારીને ધમકી આપવામાં આવતી હતી કે તે કોઈ આદેશનું પાલન કરવાનો ઇનકાર કરશે તો તેને મારી નાખવામાં આવશે; સુપરવાઇઝર તેને ચેતવણી આપતા હતા કે અમે તારા ટુકડા કરી નાખીશું, તારા શરીરને બાકીના લોકોની જેમ દફનાવી દેવામાં આવશે.
૨૦૧૪માં રાતોરાત ભાગી ગયો
સફાઈ-કર્મચારી ડિસેમ્બર ૨૦૧૪માં ધર્મસ્થલામાંથી રાતોરાત ભાગી ગયો હતો, કારણ કે તેના પોતાના પરિવારની એક સગીર છોકરી પર તેના સુપરવાઇઝર સાથે સંકળાયેલી કોઈ વ્યક્તિ દ્વારા જાતીય હુમલો કરવામાં આવ્યો હતો. પાડોશી રાજ્યોમાં વર્ષો સુધી છુપાઈ રહ્યા પછી તે પોતાનો જીવ જોખમમાં મૂકીને પાછો ફર્યો હતો. મનમાં અપરાધની ઊંડી ભાવના અને ન્યાય મેળવવાના નવા નિશ્ચયથી તેણે આ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીએ જણાવ્યું હતું કે તેણે હાડપિંજરના અવશેષો ખોદી કાઢ્યા પછી વિશ્વસનીયતા સ્થાપિત કરવા માટે તેના આધાર કાર્ડ અને જૂના આઇડેન્ટિટી કાર્ડ સાથે ફોટો પોલીસને સુપરત કર્યાં હતાં.
દોહાથી મૅગેઝિનોમાં ૪૦ કરોડનું કોકેન લાવનારો બૅન્ગલોર ઍરપોર્ટ પર પકડાયો

બૅન્ગલોરના ઍરપોર્ટ પર દોહાથી આવેલા એક માણસ પાસેથી ૪૦ કરોડ રૂપિયાનું ૪ કિલો કોકેન પકડાયું હતું. ડિરેક્ટરેક્ટ ઑફ રેવન્યુ ઇન્ટેલિજન્સે ટિપના આધારે આ માણસને પકડી પાડ્યો હતો. તેના લગેજમાં સુપરહીરો કૉમિક્સ અને મૅગેઝિન્સ હતાં જે અસાધારણ રીતે ભારે લાગતાં હતાં. ઝીણવટપૂર્વકની તપાસ પછી આ મૅગેઝિનોની અંદર સફેદ પાઉડર છુપાવેલો જોવા મળ્યો હતો.


