તનાવ વચ્ચે પાકિસ્તાનના પ્રધાનની વધુ એક ધમકી, ભારત સિંધુ નદી પર ડૅમ બનાવશે તો અમે એને ઉડાવી દઈશું, આ હુમલો ફક્ત તોપો અને ગોળીઓ દ્વારા જ નથી, પાણી રોકવા અથવા વાળવા એ પણ પાકિસ્તાન પર હુમલો છે.
આસિફ ખ્વાજા
પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તનાવ વધી રહ્યો છે. ભારતે થોડા દિવસો અગાઉ સિંધુ જળ સંધિ રદ કરવાનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે સિંધુ નદીના પાણીનું એક ટીપું પણ પાકિસ્તાન ન મોકલવાનો સંકલ્પ લીધો છે, જેનાથી પાડોશી દેશ ગુસ્સે ભરાયો છે. પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે હવે ધમકી આપી છે કે ‘જો ભારત સિંધુ નદીનું પાણી રોકવા માટે ડૅમ બનાવશે તો પાકિસ્તાન હુમલો કરીને એને ઉડાવી દેશે. પાકિસ્તાન આવતું સિંધુ નદીનું પાણી રોકવાને આક્રમણ ગણવામાં આવશે. આ હુમલો ફક્ત તોપો અને ગોળીઓ દ્વારા જ નથી, પાણી રોકવા અથવા વાળવા એ પણ પાકિસ્તાન પર હુમલો છે. જો ભારત આવો કોઈ પ્રયાસ કરશે તો પાકિસ્તાન એ સ્ટ્રક્ચરને ઉડાડી દેશે.’

