Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > શા માટે પસંદ કરવામાં આવ્યા આ ૯ ટાર્ગેટ

શા માટે પસંદ કરવામાં આવ્યા આ ૯ ટાર્ગેટ

Published : 08 May, 2025 08:16 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આખું આૅપરેશન ૧.૩૦ વાગ્યા સુધી ચાલ્યું : જૈશ-એ-મોહમ્મદના ૪, લશ્કર-એ-તય્યબાના ૩ અને હિઝબુલ મુજાહિદ્દીનના બે અડ્ડા ઉડાડી દેવામાં આવ્યા

આતંકવાદીઓના અડ્ડાઓને નષ્ટ કરવાના આૅપરેશન સિંદૂરમાં ૭ મિનિટમાં ૯ ટાર્ગેટ પર અટૅક

આતંકવાદીઓના અડ્ડાઓને નષ્ટ કરવાના આૅપરેશન સિંદૂરમાં ૭ મિનિટમાં ૯ ટાર્ગેટ પર અટૅક


પાકિસ્તાન અને પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરમાં આવેલા આતંકવાદીઓના અડ્ડાઓને નષ્ટ કરવાના આૅપરેશન સિંદૂરમાં ૭ મિનિટમાં ૯ ટાર્ગેટ પર અટૅક, ૨૧ કૅમ્પનો ખાતમો : ઍર સ્ટ્રાઇક ૧.૦૪ વાગ્યે શરૂ થઈ અને ૧.૧૧ વાગ્યે પૂરી થઈ : આખું આૅપરેશન ૧.૩૦ વાગ્યા સુધી ચાલ્યું : જૈશ-એ-મોહમ્મદના ૪, લશ્કર-એ-તય્યબાના ૩ અને હિઝબુલ મુજાહિદ્દીનના બે અડ્ડા ઉડાડી દેવામાં આવ્યા


બુધવારે વહેલી સવારે પાકિસ્તાન સામે હાથ ધરવામાં આવેલા ઑપરેશન સિંદૂરમાં આર્મી, નેવી અને ઍર ફોર્સે ભેગાં મળીને માત્ર ૭ મિનિટમાં પાકિસ્તાનમાં ૯ આતંકવાદી કૅમ્પને નિશાન બનાવ્યા હતા. આખું ઑપરેશન પચીસ મિનિટમાં પાર પડ્યું હતું. આતંકવાદીઓના અડ્ડાઓને નિશાન બનાવીને ભારતીય સેનાએ એકદમ ચોકસાઈપૂર્વક શરૂ કરેલું આ ઑપરેશન મધરાત બાદ ૧.૦૪ વાગ્યે શરૂ કર્યું હતું અને ૭ મિનિટમાં ૯ ટાર્ગેટને નિશાન બનાવીને ૧.૧૧ વાગ્યે પૂરું કરી દીધું હતું. ભારતે આતંકવાદી અડ્ડાઓને જ નિશાન બનાવ્યા હતા અને પાકિસ્તાનના મિલિટરી કે સિવિલિયન વિસ્તારમાં સ્ટ્રાઇક નહોતી કરી. બહાવલપુર, સિયાલકોટ, મુરિદકે, મુઝફ્ફરાબાદ સહિત ૭ શહેરોમાં ૯ ઠેકાણે ઍર સ્ટ્રાઇક કરવામાં આવી હતી. એમાં જૈશ-એ-મોહમ્મદના ૪, લશ્કર-એ-તય્યબાના ૩ અને હિઝબુલ મુજાહિદ્દીનના બે અડ્ડાનો સમાવેશ છે.



આર્મી કર્નલ સોફિયા કુરેશીએ જણાવ્યું હતું કે મંગળવાર-બુધવારની રાતે ૧.૦૪થી ૧.૩૦ વાગ્યા સુધીમાં ઑપરેશન પાર પડ્યું હતું. અમે ૯ ટાર્ગેટ નક્કી કર્યા હતા; એમાં આતંકવાદીઓનાં લૉન્ચ-પૅડ, ટ્રેઇનિંગ સેન્ટર અને આતંકવાદીઓના અડ્ડા હતાં.


સૌથી પહેલો ટાર્ગેટ મુઝફ્ફરાબાદમાં સવાઈ નાલા હતો, જે લશ્કર-એ-તય્યબાનું ટ્રેઇનિંગ સેન્ટર હતું. સોનમર્ગ, ગુલમર્ગ અને પહલગામ હુમલાના આતંકવાદીઓએ અહીં ટ્રેઇનિંગ લીધી હતી. મુઝફ્ફરાબાદના સૈયદના બિલાલ કૅમ્પમાં આતંકવાદીઓને હથિયાર, વિસ્ફોટક અને જંગલ સર્વાઇવલની ટ્રેઇનિંગ આપવામાં આવતી હતી.

ગુરપુરના કોટલીમાં લશ્કર-એ-તય્યબાનો કૅમ્પ હતો. પૂંછમાં ૨૦૨૩માં શ્રદ્ધાળુઓ પર કરવામાં આવેલા હુમલાના આતંકવાદીઓને અહીં ટ્રેઇનિંગ આપવામાં આવી હતી.


પાકિસ્તાનમાં પહેલો ટાર્ગેટ સિયાલકોટનો સરજલ કૅમ્પ હતો. ૨૦૨૫ના માર્ચ મહિનામાં પોલીસ જવાનોની હત્યા કરનારા આતંકવાદીઓએ અહીં ટ્રેઇનિંગ લીધી હતી.

સિયાલકોટના મહમૂના જાયા કૅમ્પમાં હિઝબુલનો મોટો કૅમ્પ હતો. અહીં આતંકવાદ નિયંત્રણ કેન્દ્ર હતું. પઠાણકોટ હુમલાનો પ્લાન અહીં બનાવવામાં આવ્યો હતો.

મરકઝ તય્યબા એટલે કે લશ્કર-એ-તય્યબાનો આતંકવાદી કૅમ્પ મુરિદકેમાં હતો. ૨૦૦૮માં થયેલા મુંબઈ હુમલાના આતંકવાદીઓ અજમલ કસબ અને ડેવિડ કૉલમન હેડલીને અહીં ટ્રેઇનિંગ આપવામાં આવી હતી.

મરકઝ સુભાનઅલ્લાહ બહાવલપુરમાં જૈશ-એ-મોહમ્મદનું હેડકક્વૉર્ટર હતું. અહીં આતંકવાદીઓનું રિક્રૂટમેન્ટ થતું હતું. તેમને અહીં ટ્રેઇનિંગ આપવામાં આવતી હતી. જૈશના મોટા અધિકારીઓ અહીં રહેતા હતા.

આ ઍર સ્ટ્રાઇક પ્રિસિઝન ગાઇડેડ મ્યુનિશન્સ અને કામિઝે ડ્રોનનો ઉપયોગ કરીને કરવામાં આવી હતી, જેમાં વિસ્ફોટક હથિયાર લક્ષ્યો પર હુમલો કરીને એને નષ્ટ કરવામાં સક્ષમ હતાં.

રહ્યાં ટાર્ગેટ

. મરકઝ સુભાનઅલ્લાહ, બહાવલપુરઃ આ જૈશ-એ-મોહમ્મદનું હેડક્વૉર્ટર છે. ૨૦૧૯માં ૧૪ ફેબ્રુઆરીએ પુલવામા હુમલા સહિતની ઘણી આતંકવાદી ઘટનાઓના પ્લાન અહીં બન્યા હતા. પુલવામાના આતંકવાદીઓને અહીં ટ્રેઇનિંગ આપવામાં આવી હતી. જૈશ-એ-મોહમ્મદના લીડર મસૂદ અઝહરે અહીં જ પનાહ લીધી હતી. ભારતની ઇન્ટરનૅશનલ બૉર્ડરથી આ આતંકવાદી અડ્ડો ૧૦૦ કિલોમીટરના અંતરે હતો.

. મરકઝ તય્યબા, મુરિદકે : ૨૦૦૦ના વર્ષમાં શરૂ થયેલું આ આતંકવાદી ટ્રેઇનિંગ સેન્ટર લશ્કર-એ-તય્યબાનું મુખ્ય ટ્રેઇનિંગ સેન્ટર છે. ૨૦૦૮માં મુંબઈમાં ૨૬ નવેમ્બરે થયેલા હુમલાના આતંકવાદીઓને અહીં ટ્રેઇનિંગ આપવામાં આવી હતી. હાફિઝ સઈદ જેવા ખૂંખાર આતંકવાદીનો આ બેઝ છેલ્લા બે દાયકાથી સક્રિય છે. આ કૅમ્પ સરહદથી ૩૦ કિલોમીટર અંદર છે.

. સરજાલ, તેહરાં કલાં : જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ઘૂસણખોરી માટે જૈશ-એ-મોહમ્મદનું આ મુખ્ય લૉન્ચ-પૅડ છે. આ સરજાલ વિસ્તારમાં તેહરાં કલાં ગામમાં પ્રાઇમરી હેલ્થ સેન્ટર બનાવવામાં આવ્યું છે જેથી તેની અસલિયત છુપાયેલી રહે. આ અડ્ડો સરહદથી ૮ કિલોમીટર અંદર હતો.

. મહમૂના જોયા, સિયાલકોટ : આ હિઝબુલ મુજાહિદ્દીનનું લૉન્ચ-પૅડ હતું. પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ઇન્ટર સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ISI)એ આ આતંકવાદી અડ્ડાને ઇન્ટરનૅશનલ બૉર્ડર અને લાઇન ઑફ કન્ટ્રોલ (LoC) પાસે ગવર્નમેન્ટ બિલ્ડિંગમાં બનાવ્યું હતું. આ સરહદથી ૧૫ કિલોમીટર અંદર છે.

. મરકજ અહલે હદીસ, બરનાલા : પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરમાં લશ્કર-એ-તય્યબાનો આ મુખ્ય આતંકવાદી કૅમ્પ હતો. ભીમબેર જિલ્લામાં બરનાલામાં આવેલા આ ઇસ્લામિક સેન્ટરનો ઉપયોગ ભારતમાં ઘૂસણખોરી કરવા માટે લૉન્ચ-પૅડ તરીકે થતો હતો. આ સરહદથી ૧૦ કિલોમીટર અંદર છે.

. મરકજ અબ્બાસ, કોટલી : પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરમાં આ ઇસ્લામિક સેન્ટર જૈશ-એ-મોહમ્મદ દ્વારા સંચાલિત હતું. આ કોટલી મિલિટરી કૅમ્પથી આશરે બે કિલોમીટર દૂર છે. સરહદથી એ ૧૫ કિલોમીટર અંદર છે.

. મસ્કર રાહીલ શાહિદ, કોટલી : પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરમાં મહુલી પુલીથી આશરે અઢી કીલોમીટર દૂર સૂમસામ પહાડી વિસ્તારમાં એ બનાવવામાં આવ્યું હતું. આ હિજબુલ મુજાહિદ્દીનનો જૂનો અડ્ડો છે. અહીં હથિયાર અને દારૂગોળો રાખવામાં આવતો હતો અને આતંકવાદીઓ રોકાઈ શકે એવી વ્યવસ્થા હતી.

. સવાઈ નાલા કૅમ્પ, મુઝફ્ફરાબાદ : લશ્કર-એ-તય્યબાના મુખ્ય કૅમ્પમાંનો આ એક છે. એનો ઉપયોગ લશ્કરમાં કૅડરની ભરતી, રજિસ્ટ્રેશન અને ટ્રેઇનિંગ માટે કરવામાં આવતો હતો. સોનમર્ગ, ગુલમર્ગ અને પહલગામ હુમલા માટેના આતંકવાદીઓને અહીં ટ્રેઇનિંગ આપવામાં આવી હતી. ૨૦૦૦થી એ કાર્યરત છે. સરહદથી એ ૩૦ કિલોમીટર અંદર હતો.

. સૈયદના બિલાલ કૅમ્પ, મુઝફ્ફરાબાદ : પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરમાં જૈશ-એ-મોહમ્મદના મહત્ત્વના અડ્ડામાંનો આ એક હતો. અહીં આતંકવાદીઓને હથિયાર, વિસ્ફોટક અને જંગલ સર્વાઇવલની ટ્રેઇનિંગ આપવામાં આવતી હતી. એનો ઉપયોગ આતંકવાદીઓ માટે લૉન્ચ-પૅડ તરીકે થતો હતો.

Whatsapp-channel Whatsapp-channel

08 May, 2025 08:16 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK