Operation Sindoorના હુમલામાં 100થી વધારે આતંકવાદીઓના માર્યા જવાના સમાચાર છે. આ કાર્યવાહી બાદ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોટો નિર્ણય લીધો છે. પીએમ મોદીનો ત્રણ દેશોનો પ્રવાસ પણ હાલ રદ કરી દેવામાં આવ્યો છે.
નરેન્દ્ર મોદી (ફાઈલ તસવીર)
ભારતની સેનાઓએ મંગળવાર-બુધવાર વચ્ચેની રાતે પાકિસ્તાનની અંદર અનેક આતંકવાદી છાવણીઓ પર ભીષણ હુમલા કર્યા. ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના 9 આતકંવાદી કેમ્પ પર મિસાઈલથી સ્ટ્રાઇક કરી. માહિતી પ્રમાણે, આ હુમલામાં 100થી વધારે આતંકવાદીઓના માર્યા જવાના સમાચાર છે. આ કાર્યવાહી બાદ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોટો નિર્ણય લીધો છે. પીએમ મોદીનો ત્રણ દેશોનો પ્રવાસ પણ હાલ રદ કરી દેવામાં આવ્યો છે.
પાકિસ્તાનમાં આતંકવાદીઓ વિરુદ્ધ ભારતની કાર્યવાહી બાદ ચાલી રહેલા તણાવ વચ્ચે, પીએમ મોદીએ એક મોટો નિર્ણય લીધો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ત્રણ દેશો - નોર્વે, ક્રોએશિયા અને નેધરલેન્ડનો પ્રવાસ હાલ પૂરતો રદ કરવામાં આવ્યો છે. પીએમ મોદી આ 3 યુરોપિયન દેશોમાં ઘણી મહત્વપૂર્ણ દ્વિપક્ષીય વાટાઘાટો અને બેઠકોમાં ભાગ લેવાના હતા. અત્યાર સુધી પીએમ મોદીના વિદેશ પ્રવાસ રદ કરવાનું કારણ આપવામાં આવ્યું નથી પરંતુ એવું માનવામાં આવે છે કે રાષ્ટ્રીય સુરક્ષા માટેના મહત્ત્વપૂર્ણ સમયને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ADVERTISEMENT
જ્યારે ભારતીય સેના ઑપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં જૈશ-એ-મોહમ્મદ અને લશ્કરના ઠેકાણાઓને નિશાન બનાવી રહી હતી, ત્યારે પીએમ મોદી પણ આ ઑપરેશન પર સતત નજર રાખી રહ્યા હતા. આ હુમલાઓમાં ત્રણેય સેવાઓ - ભારતીય સેના, નૌકાદળ અને વાયુસેના - ની ચોકસાઇ સ્ટ્રાઇક હથિયાર પ્રણાલીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ભારત દ્વારા તમામ 9 સ્થળોએ કરાયેલો હુમલો ચોક્કસ અને સફળ રહ્યો.
પહેલગામ આતંકવાદી હુમલા પછી, પીએમ મોદીએ સ્પષ્ટપણે કહ્યું હતું કે આતંકવાદીઓ અને તેમના આકાઓને એવી સજા મળશે જેની તેમણે કલ્પના પણ નહીં કરી હોય. હવે ભારતીય સેનાએ પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદીઓના ઠેકાણાઓ પર હુમલો કર્યો જેને ઑપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું. માહિતી અનુસાર, પીએમ મોદીએ પોતે આ ઑપરેશનને આ નામ આપ્યું હતું. સેનાએ પણ પીએમ મોદીના આ સૂચનનો સ્વીકાર કર્યો.
નોંધનીય છે કે, સૂત્રોએ જણાવ્યું હતું કે, પીએમ મોદીએ સશસ્ત્ર દળોના તેમના પ્રશંસનીય કાર્ય માટે પ્રશંસા કરી હતી અને રાષ્ટ્રીય સુરક્ષા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો. કેબિનેટ મંત્રીઓએ સર્વસંમતિથી વડા પ્રધાન મોદીના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને સશસ્ત્ર દળોના સફળ સંચાલન માટે પ્રશંસા કરી હતી.
કેન્દ્રીય મંત્રીઓએ જણાવ્યું હતું કે, આતંકવાદ સામેની લડાઈમાં સમગ્ર રાષ્ટ્ર પ્રધાનમંત્રી અને લશ્કરી સ્થાપના સાથે મજબૂતીથી ઉભું છે. સરહદ પારથી ઘૂસણખોરી માટે ઉપયોગમાં લેવાતા આતંકવાદી ઠેકાણાઓ અને શિબિરોને નિશાન બનાવનાર આ હુમલો સરહદ પારથી થતા આતંકવાદ સામે એક મજબૂત સંદેશ તરીકે જોવામાં આવી રહ્યો છે.
તમને જણાવી દઈએ કે, ભારતીય સેના (Indian Army), નૌકાદળ (Indian Navy) અને વાયુસેના (Indian Air Force)એ એક ઐતિહાસિક સંયુક્ત કાર્યવાહીમાં પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદી ઠેકાણાઓ પર સચોટ હુમલા કર્યા. આ હુમલો ૨૨ એપ્રિલના રોજ પહેલગામ હુમલાના જવાબમાં કરવામાં આવ્યો હતો જેમાં ૨૬ નાગરિકો માર્યા ગયા હતા. તેના જવાબમાં ભારતે ઓપરેશન સિંદૂર હાથ ધર્યુઁ હતું. વડા પ્રધાન મોદીએ રાતોરાત ચાલેલા ઓપરેશન પર સતત નજર રાખી હતી. ભારતે પાકિસ્તાન અને પીઓકેમાં એવા ઠેકાણાઓ પર હુમલો કર્યો જ્યાંથી આતંકવાદી હુમલાઓનું આયોજન અને અમલ થઈ રહ્યો હતો.

