ઝારખંડ સરકાર ઝૂકી, વિદ્યાર્થીઓની ૯૮ ટકા માગણીઓ માની લીધી, છતાં વિદ્યાર્થીઓનો વિરોધ હજી ચાલુ, આજે વિધાનસભાનો ઘેરાવ કરશે
ગઈ કાલે રાજ્ય સરકારના પ્રતિનિધિઓ અને વિદ્યાર્થી આંદોલનના પ્રતિનિધિઓની રાંચીમાં ત્રીજા તબક્કાની બેઠક થઈ હતી.
JPSC પરીક્ષા રદ થશે પરંતુ CBI તપાસની માગણીના મુદ્દે સરકાર તૈયાર નથી, JPSCના ૩ સભ્યોનાં રાજીનામાં પડ્યાં
ઝારખંડમાં ઝારખંડ પબ્લિક સર્વિસ કમિશન અને ઝારખંડ સ્ટાફ સિલેક્શન કમિશન (JPSC-JSSC)ની પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓને લઈને વિદ્યાર્થીઓની માગણીના મુદ્દે ગઈ કાલે વિદ્યાર્થીઓ અને સરકાર વચ્ચે ત્રીજા રાઉન્ડની બેઠક થઈ હતી જેમાં સરકારે વિદ્યાર્થીઓની ઘણી માગણીઓ સ્વીકારી હતી. શુક્રવારે અને શનિવારે બે રાઉન્ડની વાતચીત અનિર્ણીત રહી હતી. જોકે ગઈ કાલે સરકારે દાવો કર્યો હતો કે વિદ્યાર્થીઓની લગભગ ૯૮ ટકા માગણીઓ માની લેવામાં આવી છે.
વિદ્યાર્થીઓના મહેવા મુજબ સરકારે ઝારખંડ પબ્લિક સર્વિસ કમિશન એક્ઝામ પ્રીલિમિનરી ટેસ્ટ (JPSC-PT) પરીક્ષા રદ કરવા પર સહમતિ આપી છે, જોકે તેમની મુખ્ય માગણી કમ્બાઇન્ડ ગ્રૅજ્યુએટ લેવલ (CGL) પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓ પર સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) તપાસ અને કાર્યવાહી વણઉકેલાયેલી રહી છે. જ્યાં સુધી CBI તપાસની માગણીનો સ્વીકાર કરવામાં નહીં આવે ત્યાં સુધી વિદ્યાર્થીઓ તેમનું વિરોધ-આંદોલન પાછું ખેંચવા તૈયાર નથી. સરકાર JPSC-PT (પ્રિલિમિનરી ટેસ્ટ) પરીક્ષા રદ કરવા સંમત થઈ ગઈ છે. જોકે JSSC-CGL પરીક્ષા રદ કરવા વિશે કોઈ સહમતી થઈ નથી. નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં આ મામલાની તપાસ કરવામાં આવશે.
આજે વિધાનસભા પર કૂચ
આજે પ્રદર્શનકારીઓ ઝારખંડ વિધાનસભા પર કૂચ કરશે અને વિધાનસભાને શાંતિપૂર્ણ રીતે ઘેરવાની તૈયારીઓ ચાલી રહી છે, જેને ધ્યાનમાં રાખીને રાજધાનીમાં સુરક્ષાવ્યવસ્થા કડક કરવામાં આવી છે.
૯૮ ટકા માગણીનો સ્વીકાર
બીજી તરફ ઝારખંડ સરકારે કહ્યું હતું કે ૩ દિવસની વાતચીત પછી સરકારે ૧૪મી JPSC પરીક્ષા અને ૨૦૨૩-’૨૫ની બૅકલૉગ ભરતીઓ સાથે જોડાયેલી કથિત ગેરરીતિઓની બેસ્તરીય તપાસ કરવાનો નિર્ણય લીધો છે. ગુનાહિત પાસાંઓની તપાસ ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (CID) દ્વારા કરવામાં આવશે, જ્યારે સરકાર શંકાસ્પદ ગેરકાયદે નાણાકીય વ્યવહારોની તપાસ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ દ્વારા કરાવવાની માગણી કરશે. સરકારે ફાસ્ટ ટ્રૅક કોર્ટની સ્થાપના કરવાનો અને ૯૦ દિવસની અંદર આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરવાનો પણ પ્રસ્તાવ મૂક્યો હતો.
ADVERTISEMENT
આજે CID દ્વારા પૂછપરછ
JPSCના ૩ સભ્યો અજિતા ભટ્ટાચાર્ય, અનિમા હાંસદા અને જમાલ અહમદે ગઈ કાલે પદ પરથી રાજીનામાં આપ્યાં હતાં. તેમને CID દ્વારા સોમવારે એટલે કે આજે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યાં છે. એ પહેલાં જ તેમણે રવિવારે રાજ્યપાલ સંતોષ ગંગવારને રાજીનામાં આપ્યાં હતાં જે સ્વીકારી લેવામાં આવ્યાં છે.
