સોમવારે આખી રાત એ તૂટી પડેલા પાર્કિંગ ટાવરનો કાટમાળ હટાવવાનું કામ ચાલી રહ્યું હતું જે મંગળવારે સવારે પૂરું થયું હતું અને ત્યાર બાદ એ રોડ ફરી વાહનવ્યવહાર માટે ચાલુ કરવામાં આવ્યો હતો.
પ્રતીકાત્મક તસવીર
મુંબઈમાં સોમવારે સાંજે ફૂંકાયેલા વંટોળ વખતે વડાલાના બરકત અલી નાકા પર ઊભો કરવામાં આવેલો ૧૪ માળનો લોખંડનો પાર્કિંગ ટાવર તૂટી પડવાની ઘટના બની હતી. એ કેસમાં હવે સ્લમ રીહૅબિલિટેશન ઑથોરિટી (SRA)એ ડેવલપર ન્યુ મેક કંપનીને શોકૉઝ નોટિસ મોકલી છે એટલું જ નહીં, એનો જવાબ આવે એ પછી તેમની સામે શું કાર્યવાહી કરવી એ નક્કી કરવામાં આવશે એમ SRAના એક અધિકારીએ જણાવ્યું હતું.
સોમવારે સાંજે સવાચાર વાગ્યે વંટોળ વખતે લોખંડનો અન્ડર-કન્સ્ટ્રક્શન પાર્કિંગ ટાવર તૂટી પડ્યો હતો. એના કાટમાળ હેઠળ ત્યાં પાર્ક કરવામાં આવેલાં આઠથી દસ વાહનો દબાઈ ગયાં હતાં. એ ઘટનામાં બે જણને ઈજા પણ થઈ હતી. આ ઘટનાની જાણ થયા બાદ પોલીસ, ફાયર-બ્રિગેડ અને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના ડિઝૅસ્ટર મૅનેજમેન્ટના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. એ જ રીતે SRAના અધિકારીઓ પણ ત્યાં ધસી ગયા હતા. વડાલાના બરકત અલી નાકા પર SRAનો ગણેશ સેવા પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. એના રીહૅબિલિટેશનની ઇમારત બની ગઈ હતી અને એની બાજુમાં આ પાર્કિંગ ટાવર બની રહ્યો હતો. એનું લોખંડનું સ્ટ્રક્ચર ઊભું થઈ ગયું હતું અને કૉન્ક્રીટાઇઝેશનનું કામ બાકી હતું. સોમવારે આખી રાત એ તૂટી પડેલા પાર્કિંગ ટાવરનો કાટમાળ હટાવવાનું કામ ચાલી રહ્યું હતું જે મંગળવારે સવારે પૂરું થયું હતું અને ત્યાર બાદ એ રોડ ફરી વાહનવ્યવહાર માટે ચાલુ કરવામાં આવ્યો હતો.
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)