છેલ્લે ૨૦૧૭માં થયેલી PMCની ચૂંટણીમાં BJP સૌથી વધુ ૯૮ બેઠક પર જીતી આવીને સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી આવી હતી
અજિત પવાર
મહારાષ્ટ્રના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અને પુણેના પાલકપ્રધાન અજિત પવારે રવિવારે પુણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (PMC)ની ચૂંટણીના પ્રચારની બાણેરમાં યોજાયેલી સભામાં કહ્યું હતું કે ‘પુણેને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તરફથી મોટી નાણાકીય સહાય મળી હતી, પરંતુ લોકલ લીડરશિપ એનો શહેરના અર્થપૂર્ણ વિકાસમાં ઉપયોગ કરવામાં નિષ્ફળ ગઈ હતી. આ નિષ્ફળતા શહેરના નેતૃત્વમાં પરિવર્તનની જરૂરિયાત પર ભાર મૂકે છે.’
છેલ્લે ૨૦૧૭માં થયેલી PMCની ચૂંટણીમાં BJP સૌથી વધુ ૯૮ બેઠક પર જીતી આવીને સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી આવી હતી. અજિત પવારની રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ પાર્ટી (NCP), BJP અને એકનાથ શિંદેની શિવસેના રાજ્યમાં મહાયુતિ ગઠબંધનનો ભાગ છે, પરંતુ PMC સહિત ૨૯ મ્યુનિસિપલ કૉર્પોરેશનોમાંથી કેટલાંકમાં તેઓ અલગથી લડી રહ્યા છે. અજિત પવારે પીવાના પાણીની શૉર્ટેજ, કચરાના ઢગલા, ખાડાવાળા રસ્તાઓ, ટ્રાફિક-જૅમ અને શહેરમાં કથળતી કાયદો અને વ્યવસ્થા જેવા મુદ્દાઓ પર બોલતાં કહ્યું હતું કે ‘આ સમસ્યાઓના ઉકેલ માટે રાજકીય ઇચ્છાશક્તિનો અભાવ છે. અમે કોયતા ગૅન્ગને ખતમ કરવા અને શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માગીએ છીએ. કેન્દ્ર અને રાજ્યમાં અમે મહાયુતિમાં છીએ, પરંતુ પુણે અને પિંપરી-ચિંચવડમાં પરિસ્થિતિ અલગ છે. PMCની કમાન સંભાળનારા વહીવટકર્તાઓ એ માટે જવાબદાર છે. મ્યુનિસિપલ કૉર્પોરેશન પાસે અલગ સત્તાઓ છે. કેન્દ્ર અને રાજ્ય સરકારે જંગી ભંડોળ પૂરું પાડ્યું છે, પરંતુ વહીવટકર્તાઓ ઓછા પડ્યા છે.’
ADVERTISEMENT
છેલ્લા કેટલાક દિવસોમાં અજિત પવારે કરેલી કમેન્ટે તેમના સાથીપક્ષ BJPમાં ખળભળાટ મચાવ્યો છે. અજિત પવારે શુક્રવાર અને શનિવારે તેમની પ્રેસ-કૉન્ફરન્સમાં પુણે અને પિંપરી-ચિંચવડ કૉર્પોરેશનમાં ભ્રષ્ટાચાર અને અનિયમિતતાઓનો આરોપ લગાવ્યો હતો. એ બન્નેમાં ઍડ્મિનિસ્ટ્રેટરની નિમણૂક પહેલાં ૨૦૧૭થી ૨૦૨૨ દરમ્યાન BJPનું શાસન હતું. અજિત પવારની આ કમેન્ટને લઈને મહારાષ્ટ્રના BJP અધ્યક્ષ રવીન્દ્ર ચવ્હાણે કહ્યું હતું કે જો BJP આરોપ લગાવવાનું શરૂ કરશે તો તેમના (અજિત પવાર) માટે ગંભીર મુશ્કેલીઓ ઊભી કરશે. રવીન્દ્ર ચવ્હાણે અજિત પવારને આરોપો લગાવતાં પહેલાં આત્મનિરીક્ષણ કરવાની સલાહ આપી હતી.


