જૂના મુંબઈ-પુણે હાઇવે પર પનવેલ તરફ જવા માટે ત્રણ-ત્રણ લેનનો ફ્લાયઓવર અઢી વર્ષે પૂરો થયા બાદ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ લોકાર્પણ કર્યું
શીલફાટા જંક્શન પાસેનો નવો બાંધવામાં આવેલો ફ્લાયઓવર
મુંબઈ-પુણેના જૂના હાઇવે નંબર એનએચ ૪૮ ઉપર શીલફાટા જંક્શન પાસે ૩૦ મહિનાથી ત્રણ-ત્રણ લેનના નવા બાંધવામાં આવેલા ફ્લાયઓવરનું કામ પૂરું થઈ ગયા બાદ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે દ્વારા એનું ગઈ કાલે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (એમએમઆરડીએ) દ્વારા ૪૫.૬૮ કરોડ રૂપિયાના ખર્ચે આ ૭૩૯ મીટર લંબાઈ અને ૨૪ મીટર પહોળા ફ્લાયઓવરનું કામ કરવામાં આવ્યું છે. આ ફ્લાયઓવર શરૂ થઈ જતાં થાણેમાં પનવેલ જવા અને આવવા માટે નડતી ટ્રાફિકની સમસ્યામાં કેટલાક અંશે વાહનચાલકોને રાહત થશે. શીલફાટા જંક્શન પર બાંધવામાં આવેલા નવા ફ્લાયઓવરમાં બંને તરફ જવા માટે ત્રણ-ત્રણ લેન બનાવવામાં આવી છે એટલે આ જંક્શન પાસે થતા ટ્રાફિક જૅમનો સામનો કર્યા વિના વાહનચાલકો ઉપરથી પનવેલ તરફ કે પનવેલથી થાણે તરફ આસાનીથી જઈ શકશે. એકનાથ શિંદેએ આ વિશે કહ્યું હતું કે ‘એમએમઆરડીએ મોટા અને સફળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ ઝડપથી પૂરા કરી રહી છે. આ નવા ફ્લાયઓવરથી મુંબઈ મેટ્રોપૉલિટન રીજનમાં વાહનવ્યવહારને ફાયદો થશે. આ ક્ષેત્રમાં થઈ રહેલા વિકાસના કામથી મને આનંદ છે.
આવી જ રીતે એમએમઆરડીએ દ્વારા ઝડપથી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનાં કામ પૂરાં કરવામાં આવી રહ્યાં છે જેનો ફાયદો અહીંના રહેવાસીઓને થશે.’ એમએમઆરડીએના મેટ્રોપૉલિટન કમિશનર ડૉ. સંજય મુખરજીએ આ વિશે કહ્યું હતું કે ‘મુંબઈ મેટ્રોપૉલિટન ક્ષેત્રમાં વિવિધ ડેવલપમેન્ટનાં કામ ચાલી રહ્યાં છે. આ બધાં કામનો ઉદ્દેશ એક જ છે કે અહીંનો સર્વાંગી વિકાસ થવો જોઈએ. લાંબા ગાળાના લાભને ધ્યાનમાં રાખીને અત્યારે કામ કરવામાં આવી રહ્યું છે. શીલફાટા જંક્શન ફ્લાયઓવરને એવી જ રીતે તૈયાર કરવામાં આવ્યો છે. આ નવા બ્રિજથી ટ્રાફિકની સમસ્યામાં લોકોને રાહત થશે અને કીમતી સમય તેમ જ ઈંધણની પણ બચત થશે.’