Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > નવી મુંબઈની એપીએમસી માર્કેટમાં આગને પગલે ફાયર ઑડિટ

નવી મુંબઈની એપીએમસી માર્કેટમાં આગને પગલે ફાયર ઑડિટ

26 February, 2021 12:54 PM IST | Navi Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નવી મુંબઈની એપીએમસી માર્કેટમાં આગને પગલે ફાયર ઑડિટ

એપીએમસી મસાલાબજારના એક ગોડાઉનમાં બુધવારે લાગેલી આગને નિયંત્રણમાં લઈ રહેલી ફાયર-બ્રિગેડ

એપીએમસી મસાલાબજારના એક ગોડાઉનમાં બુધવારે લાગેલી આગને નિયંત્રણમાં લઈ રહેલી ફાયર-બ્રિગેડ


નવી મુંબઈની વાશીમાં આવેલી ઍગ્રિકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી (એપીએમસી) માર્કેટની મસાલાબજારના ગાળા નંબર એમ-૨૧માં બુધવારે રાતના શૉર્ટ સર્કિટને લીધે આગ ફાટી નીકળી હતી. જોકે માર્કેટના સિક્યૉરિટી ગાર્ડની સમયસૂચકતાને કારણે આગને ફાયર-બ્રિગેડે વહેલી તકે નિયંત્રણમાં લઈ લીધી હતી. આગને કારણે કોઈ જાનહાનિ થઈ નહોતી, પરંતુ ગોડાઉનમાં રહેલાં ઇલેક્ટ્રૉનિક ઉપકરણો આગમાં બળીને ખાખ થઈ ગયાં હતાં. આ આગના પગલે ગઈ કાલે એપીએમસી હેઠળની બધી જ બજારોમાં ટૂંક સમયમાં ફાયર-ઑડિટ કરવામાં આવશે એવી જાહેરાત એપીએમસી તરફથી કરવામાં આવી હતી.

આ બાબતની માહિતી આપતાં એપીએમસીના જનરલ સેક્રેટરી અનિલ ચવાણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બુધવારે રાતના ૧૦ વાગ્યાની આસપાસ મસાલાબજારના ગાળા નંબર એમ-૨૧માં અચાનક આગ ફાટી નીકળી હતી. અમે તરત જ ફાયર-બ્રિગેડ અને પોલીસને જાણ કરી હતી. એને કારણે આગ સમયસર નિયંત્રણમાં આવી ગઈ હતી. આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નહોતી. આમ છતાં એપીએમસીએ આ આગની ગંભીર નોંધ લીધી છે. અમારી બધી જ બજારોમાં વહેલામાં વહેલી તકે ફાયર-ઑડિટ કરાવવામાં આવશે.’



અમારી માર્કેટ ૩૦થી ૩૫ વર્ષ જૂની છે અને ઇમારતો ખખડી ગઈ છે એમ જણાવતાં નવી મુંબઈ મર્ચન્ટ્સ અસોસિએશનના અધ્યક્ષ કીર્તિ રાણાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બુધવારની આગ અમારા માર્કેટના સિક્યૉરિટી ગાર્ડની સમયસૂચકતાને કારણે ફેલાતી બચી ગઈ હતી. સિક્યૉરિટી ગાર્ડે આગના ધુમાડાં જોતાં જ ફાયર-બ્રિગેડને ફોન કરી દીધો હતો. એને પરિણામે ફાયર-બ્રિગેડ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબૂમાં લઈ લીધી હતી. થોડા સમય પહેલાં અમારા દાણાબજારમાં એક ગોડાઉનની દીવાલ પડી ગઈ હતી. આવા બનાવો અમારી એપીએમસીની લાપરવાહીની લીધે થઈ રહ્યા છે. જૂની ઇમારતોની જાળવણી પ્રત્યે એપીએમસી દુર્લક્ષ સેવી રહી છે. અમારા એક સર્વે પ્રમાણે માર્કેટમાં માંડ ૨૫ ટકા ગોડાઉનો અને દુકાનોમાં ફાયર-ઇક્વિમેન્ટ્સની સુવિધાઓ જ છે જે ખરેખર જોખમી છે.’


મહાનગરપાલિકાના કમિશનરનું શું કહેવું છે?

નવી મુંબઈ મહાનગરપાલિકાએ આગની ઘટનાની ગંભીર નોંધ લીધી છે એમ જણાવતાં મહાનગરપાલિકાના કમિશનર અભિજિત બાંગરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે આ બાબતમાં એપીએમસીને પત્ર લખ્યો છે. તેમને આવી ઘટનાઓ ફરીથી ન બને એ માટે માર્કેટમાં કૉર્પોરેશનના કાયદા અને નિયમો પ્રમાણે ફાયર-ઇક્વિપમેન્ટ્સ દરેક ગોડાઉનો અને દુકાનોમાં હોવાં જોઈએ એના પર ધ્યાન આપવાનું કહેવામાં આવ્યું છે. આ માર્કેટમાં ટૂંક સમયમાં ફાયર-ઑડિટ કરવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

26 February, 2021 12:54 PM IST | Navi Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK