નૅશનલ પાર્કના ગેટ પાસે લેપર્ડ દેખાતાં ગઈ કાલે પાર્કને ટૂરિસ્ટો માટે બંધ રાખવામાં આવ્યો હતો
દીપડાનાં પગલાં હોવાનું ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટે કહ્યું છે
\બોરીવલીમાં આવેલા સંજય ગાંધી નૅશનલ પાર્કને બુધવારે ટૂરિસ્ટો માટે બંધ રાખવામાં આવ્યો હતો, કારણ કે વહેલી સવારે સંજય ગાંધી નૅશનલ પાર્કના મેઇન ગેટની નજીક એક દીપડો દેખાયો હતો. નૅશનલ પાર્કના ડિરેક્ટર ઍન્ડ કન્ઝરવેટર ઑફ ફૉરેસ્ટ જી. મલ્લિકાર્જુને કહ્યું હતું કે ‘સવારે અહીં મૉર્નિંગ વૉક માટે આવતા લોકોએ દીપડાને મેઇન ગેટ પાસે જોયો હતો. ત્યાર બાદ અમારી ટીમને ખબર પડી કે દીપડાએ અહીં આશ્રય લીધો છે એથી એને કોઈ અગવડ ન પડે તેમ જ લોકોની સલામતી માટે અમે પ્રવાસીઓ માટે પાર્કને બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. અમારી ટીમ ત્યાં જ હતી. અમે એવી આશા રાખી રહ્યા હતા કે સૂર્યાસ્ત બાદ દીપડો ફરી જંગલમાં પાછો ફરશે, પરંતુ એવું થયું નહોતું.’
ગોરાઈ-પગોડા પાસે લોકોએ દીપડાના પંજાનાં નિશાન જોયાં હતાં. જોકે નૅશનલ પાર્કના ગેટથી ગોરાઈ વચ્ચેનું અંતર ૨૫ કિલોમીટર છે. વળી એ સરખી રીતે જોડાયેલું નથી, પરંતુ ગૂગલ મૅપ જોઈએ તો દીપડો મીરા-ભાઈંદર નજીકના ગ્રીન કવર પરથી ગોરાઈ ગયો હોવો જોઈએ. ત્યાં દીપડાને પકડવા માટે ટ્રૅપ પણ ગોઠવવામાં આવ્યો છે. બે સપ્તાહ પહેલાં જ કેટલાક લોકોએ ગોરાઈ-પગોડા પાસે દીપડાનાં પગલાંનાં નિશાન જોયાં હતાં.