° °

આજનું ઇ-પેપર
Saturday, 25 March, 2023


કચ્છમાંની જમીનનો વિવાદ બન્યો સવજી પટેલના મર્ડરનું કારણ?

18 March, 2023 07:50 AM IST | Mumbai
Bakulesh Trivedi | bakulesh.trivedi@mid-day.com

આવી શંકા પરિવાર અને બિઝનેસ પાર્ટનરોએ વ્યક્ત કરી : નવી મુંબઈ પોલીસ આની તપાસ કરવા અને આરોપીઓને પકડવા માટે કચ્છ ગઈ

સવજી પટેલ

સવજી પટેલ

મુંબઈ : નવી મુંબઈના નેરુળમાં બુધવારે ધોળે દિવસે રિયલ એસ્ટેટના એમ્પીરિયા ગ્રુપના સવજી પટેલની હત્યા તેમની કચ્છની જમીનના વિવાદના કારણે થઈ હોઈ શકે એવી શંકા પરિવારજનોએ અને તેમના બિઝનેસ પાર્ટનરોએ વ્યક્ત કરી છે. નવી મુંબઈ પોલીસને એ વાત તેમણે તેમના સ્ટેટમેન્ટમાં જણાવતાં નવી મુંબઈ પોલીસ આ બાબતે તપાસ કરવા અને આરોપીઓને પકડવા કચ્છ ગઈ છે.

એમ્પીરિયા ગ્રુપના મુકેશ ચૌધરીએ આ વિશે માહિતી આપતાં ‘મિડ-ડે’ ને કહ્યું હતું કે ‘અહીં નવી મુંબઈમાં સવજીભાઈનો દીકરો ધીરજ અને અમે પાર્ટનરો જ ધંધો સંભાળતા હતા. સવજીભાઈ મુખ્યત્વે કચ્છની જમીનના વ્યવહારો પર અને કુટુંબ પરિવારમાં ધ્યાન આપતા હતા. તેઓ અહીંની ઑફિસે આવતા-જતા રહેતા, પણ અહીંના ધંધામાં તેમનું ઇન્વૉલ્વમેન્ટ ઓછું હતું. તેમની હત્યા કચ્છની જમીનના વિવાદમાં થઈ હોઈ શકે. ગાંધીધામના કંડલા ઍરપોર્ટ પાસે વરસામેડી રોડ પર સવજીભાઈની ૩૪ એકર જમીન છે. ઍરપોર્ટ પાસેની જમીન હોવાથી એક એકરદીઠ હાલ એક કરોડ રૂપિયાનો ભાવ ચાલી રહ્યો છે. ત્યાં એક ગૅન્ગ ઍક્ટિવ થઈ છે જે બનાવટી દસ્તાવેજો બનાવીને ત્યાંની જમીનો પોતાના નામે ચડાવી લે છે. સવજીભાઈ સાથે પણ એવું જ થયું છે. એ ગૅન્ગે તેમની એ જમીન પોતાના નામે રજિસ્ટર કરાવી લીધી છે. ચાર-પાંચ જણનું એ ગ્રુપ છે. તેઓ બનાવટી દસ્તાવેજો બનાવે છે. સવજીભાઈના બનાવટી દસ્તાવેજોમાં પણ નામ સવજીભાઈનું છે, ફોટો કોઈ અન્ય વ્યક્તિનો છે અને સહી વળી કોઈ ત્રીજાએ જ કરી હોય એવું લાગે છે. એથી સવજીભાઈએ એની સામે પોલીસમાં એફઆઇઆર પણ કરાવ્યો છે.’

મુકેશ ચૌધરીએ વધુમાં કહ્યું હતું કે ‘આ ગૅન્ગની મોડસ ઑપરેન્ડી એવી છે કે તેઓ બનાવટી દસ્તાવેજોથી પહેલાં જમીન પોતાના નામે કરાવી લે છે અને પછી જ્યારે ઍક્ચ્યુઅલ પાર્ટી એ માટે વાંધો ઉઠાવે ત્યારે તેની પાસે એ જમીન પાછી તેના નામે કરી દેવા સેટલમેન્ટના નામે ખંડણી પડાવે છે. હમણાં જ એક પાર્ટી પાસેથી તેમણે આ રીતે ૧.૫૦ કરોડ રૂપિયા પડાવ્યા હતા. સવજીભાઈને પણ કોઈ વચેટિયાએ એ રીતે સેટલમેન્ટ કરવાની ઑફર આપવા ફોન પણ કર્યો હતો. જોકે એમાં આગળ શું થયું એની ખબર નથી. અમને લાગે છે એ જમીનના વિવાદને કારણે સવજીભાઈની હત્યા થઈ હોઈ શકે. બીજું, તેઓ ગુજરાત વિધાનસભાના ઇલેક્શન વખતે પણ ઍક્ટિવ હતા. એને કારણે પણ આવું બની શકે. અમને ચોક્કસ જાણ નથી, પણ શંકા છે અને અમે એ અમારા સ્ટેટમેન્ટમાં પોલીસને જણાવ્યું છે.’

મુકેશ ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું કે ‘મુંબઈ અને નવી મુંબઈ મેગા સિટી છે. અહીં લોકો સેફ્ટી મળતી હોવાથી રહે છે. ધોળે દિવસે આ રીતે કોઈની ગોળી મારી હત્યા થાય એ કઈ રીતે ચાલે? એથી નવી મુંબઈના બિલ્ડરોનું એક પ્રતિનિધિમંડળ એકાદ-બે દિવસમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને મળવા જવાનું છે અને આ બાબતે રજૂઆત કરવાનું છે.’ 
નવી મુંબઈ પોલીસ આ બાબતે અગ્રેસિવ છે અને યોગ્ય રીતે તપાસ ચાલી રહી હોવાનું લાગી રહ્યું છે એમ પણ તેમણે કહ્યું હતું.     

18 March, 2023 07:50 AM IST | Mumbai | Bakulesh Trivedi

અન્ય લેખો

મુંબઈ સમાચાર

હોળીને લીધે આગની હોળી?

ફિલ્મસિટીની આગનું કારણ હોળીના સીનનું શૂટ હોઈ શકે છે એવું ફાયરબ્રિગેડને એક વિટનેસે કહ્યું, પણ હવે એ સાક્ષી મળી નથી રહ્યો : ફિલ્મસિટી અને મલાડ બંને આગની ઝીણવટભરી તપાસ

22 March, 2023 08:50 IST | Mumbai | Bakulesh Trivedi
મુંબઈ સમાચાર

ખૂન કા બદલા ખૂન, વો ભી ૨૫ સાલ બાદ

૨૫ વર્ષ પહેલાં થયેલી બચુભાઈ પટણીની હત્યાના કેસમાં સવજીભાઈ દોષમુક્ત છૂટી ગયેલા એટલે એનો બદલો લેવા બચુભાઈના પરિવારજનોએ આપી હતી ૨૫ લાખની સુપારી

21 March, 2023 09:01 IST | Mumbai | Bakulesh Trivedi
મુંબઈ સમાચાર

દર્શન સોલંકીના મૃત્યુની તપાસ ક્યારે પૂરી થશે?

તેના પરિવારને હજી પોસ્ટમૉર્ટમનો રિપોર્ટ, પંચનામાની કૉપી જેવા દસ્તાવેજો અપાયા નથી : પોલીસ કહે છે કે તપાસ માટે કોઈ ટાઇમ-લિમિટ નથી

19 March, 2023 08:14 IST | Mumbai | Bakulesh Trivedi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK