આગામી ચૂંટણીઓ પણ શરદ પવાર એ નામથી જ લડી શકશે
શરદ પવાર
શરદ પવારે કેન્દ્રીય ચૂંટણીપંચમાં તેમના પક્ષને માન્યતા આપવાની સાથે ચૂંટણીચિહ્ન સંબંધે નિર્ણય લેવાનો પત્ર ગયા મહિને લખ્યો હતો. ચૂંટણીપંચમાં ગઈ કાલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP-શરદચંદ્ર પવાર)ને માન્યતા આપવામાં આવી હતી. આથી આગામી ચૂંટણીઓ પણ શરદ પવાર એ નામથી જ લડી શકશે. તુતારી ચૂંટણીચિહ્ન બીજા કોઈને ન આપવાની શરદ પવારની માગણી પણ માન્ય રાખવામાં આવી છે. ઇલેક્શન કમિશન પક્ષને માન્યતા આપ્યા બાદ પક્ષ ડોનેશન સ્વીકારી શકે છે. એથી નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટીને પણ આવો અધિકાર મળી ગયો હોવાનું જાણવા મળ્યું હતું. બારામતીનાં સંસદસભ્ય સુપ્રિયા સુળેએ આ વિશે કહ્યું હતું કે ‘ચૂંટણીપંચ દ્વારા તુતારી ચિહ્ન લોકસભાની ચૂંટણી સુધી જ આપવામાં આવ્યું હતું. હવે પક્ષને માન્યતા મળી ગઈ છે એટલે આ ચિહ્ન અમારા સિવાય બીજા કોઈને નહીં અપાય એટલું જ નહીં, પક્ષને માન્યતા મળ્યા બાદ હવે ચેકથી ડોનેશન પણ સ્વીકારી શકાશે.’

